સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે યોજાઇ રહેલી હાલ મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. દરેક ઉમેદવાર પોતાનો પ્રચાર વધુમાં વધુ થાય એ પ્રકારનો પ્રયાસ કરી રહ્યો છે. તેની વચ્ચે “મોરના ઈંડાને ચીતરવા ન પડે” એ કહેવતને જીવનમાં ચરિતાર્થ કરી બતાવી છે સુરતના સૌથી નાની વયના એટલે કે માત્ર 12વર્ષના પ્રચારક વિવાન ઉનડકટે, કે જેના પિતા વ્રજેશ ઉનડકટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે વર્ષોથી સેવા આપતા રહ્યા છે,આ વખતે વ્રજેશ ઉનડકટ વોર્ડ નંબર 21ના ભારતીય જનતા પાર્ટી માં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમજ વર્ષ 2018 માં માતા પ્રિયંકા ઉનડકટ પણ મિસિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં ભાગ લઇ અને મિસિસ ઇન્ડિયા ગુજરાતનો ખિતાબ જીતી ચૂક્યા છે. વોર્ડ નંબર 21માં પ્રચારની કમાન 12 વર્ષના વિવાન ઉનડકટે સંભાળી છે. વિવાનને જોવા માટે, તેની પ્રચારની શૈલીને જોવા માટે મોટી સંખ્યામાં મતદારો એકત્રિત થઇ રહ્યા છે. વિવાન ભારતીય જનતા પાર્ટી માટે તો પ્રચાર કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે તેના પિતા વ્રજેશ ઉનડકટ માટે પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યો છે.
પિતાને અને ભાજપને જિતાડવા માટે પ્રચાર, લોકો જોઈને થઈ જાય છે મંત્રમુગ્ધ
રાજકીય પ્રચારમાં વક્તૃત્વશૈલી લોકોને આકર્ષતી હોય છે તેવા તમામ લોકો મેદાનમાં ઊતરતા હોય છે. વિશેષ કરીને આપણે જોતા હોઈએ છીએ કે ચૂંટણીપ્રચાર દરમિયાન અલગ અલગ ક્ષેત્રના સેલિબ્રિટીઓ વિવિધ રાજકીય પક્ષો માટે પ્રચાર કરીને આકર્ષણ ઊભો કરતા હોય છે, પરંતુ 12 વર્ષનું બાળક સ્ટાર પ્રચારકોની માફક સતત ચૂંટણી અભિયાનમાં પોતાના પિતાને અને ભાજપને જિતાડવા માટે જોરશોરથી લાગી ગયું છે.વિવાન ઉનડકટ જ્યારે પોતે પ્રચાર કરતો હોય છે ત્યારે તેની વાક્છટા જોઈને ભલભલા રાજકીય નેતાઓ પણ અચંબામાં પડી જાય છે. આટલી નાની ઉંમરે પ્રજાના પ્રશ્નો કયા કયા હોય છે એનો ઉકેલ કેવી રીતે સ્થાનિક નેતાઓ લાવી શકે છે. કયા પ્રકારના નેતાઓને ચૂંટણી દરમિયાન વિજય બનાવવા જોઈએ એ અંગે ખૂબ જ ઝીણવટભરી અને રસપ્રદ વાતો કરીને સભામાં હાજર લોકોને આકર્ષિત કરી દે છે.
સુરતવાસીઓ બન્યા વિવાનના ફેન, જ્યારે વિવાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેન
વિવાને આજે સમગ્ર સુરત શહેરની અંદર સૌકોઈમાં કુતૂહલ જગાવ્યું છે. વિવાનની લોકપ્રિયતા એટલી વધી રહી છે કે વોર્ડ નંબર 21માંથી અન્ય વોર્ડના ઉમેદવારો પણ તેને પોતાના પ્રચાર કરવા માટે બોલાવી રહ્યા છે. તે એક સમજદાર નાગરિક તરીકે પોતાની વાત મતદારો સુધી પહોંચાડી રહ્યો છે. સ્વાભાવિક છે કે બાળક જ્યારે આ પ્રકારે પોતાની વાણીથી લોકોને મંત્રમુગ્ધ કરી નાખે ત્યારે જે-તે રાજકીય પક્ષ માટે તેનો લાભ મળવો શક્ય છે.વિવાન પોતે માને છે કે નિષ્પક્ષ અને પ્રામાણિકતાથી જો વહીવટ કરવામાં આવે તો શહેરનો વિકાસ અને દેશનો વિકાસ ચોક્કસ થશે જ. વિવાન માને છે કે તે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેન છે. નરેન્દ્ર મોદીની નેતૃત્વ શક્તિમાં તેને અપાર શ્રદ્ધા છે અને તેના પિતા પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોવાથી તેને ભાજપનો પ્રચાર કરવામાં વધુ રસ પડી રહ્યો છે.
ઘણા દિવસોથી ગ્રુપ મીટિંગો ગજવી રહ્યો છે
ચૂંટણીપ્રચાર પહેલાં પણ વિવાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. દેશના અલગ-અલગ જ્વલંત મુદ્દા પર તે પોતાની પ્રતિક્રિયાઓ ફેસબુક પર તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકતો હોય છે. બાળપણથી જ વિવાન પોતાની ભાષાશૈલીને કારણે સૌકોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.વિવાન છેલ્લા ઘણા દિવસોથી ગ્રુપ મીટિંગો ગજવી રહ્યો છે. ક્યારેક તેના પિતા સાથે ગ્રુપ મીટિંગમાં હાજર હોય છે તો કોઈક વખતે અન્ય કાર્યકર્તાઓ સાથે પોતે જ ગ્રુપ મીટિંગમાં પહોંચીને તેમની સમગ્ર પેનલની તરફેણમાં મતદારોને મત આપવા માટે અપીલ કરવા પહોંચી જાય છે. સુરત મહાનગરપાલિકાના ચૂંટણીમાં વિવાનને જબરદસ્ત આકર્ષણ ઊભું કર્યું છે. તેની સ્ટાર પ્રચારક તરીકેની છબિ સુરત શહેરમાં ઊભરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…