@ નિકુંજ પટેલ
Rajasthan News: રાજસ્થાનના કોટા શહેરમાં ત્રણ રિક્ષાચાલકોએ આખા દિવસનો થાક દૂર કરવા દારૂ પીવાની યોજના બનાવી હતી. ત્રણ પૈકી એકનું નામ બાપુલાલ હતું. દારૂનો નશો ચઢતા બાપુલાલ સાથે દારૂ પીનારા એક શખ્સે બાપુલાલની સગીર દીકરીના લગ્ન પોતાના દીકરા સાથે નક્કી કરી દીધા. ત્રીજો શખ્સ આ વાતનો સાક્ષી બની ગયો.
બાપુલાલ પોતાના ગામ ભગવાનપુરામાં હતા. તેની દીકરી 16 વર્ષની થઈ ગઈ હતી. તે પોતાની દીકરી માટે સારા ઘરની શોધ કરી રહ્યો હતો. આ વાત કોટામાં રહેતા તે રિક્ષાચાલકને ખબર પડી ગઈ. જેણે પોતાના દીકરાના લગ્ન બાપુલાલની દીકરી સાથે નક્કી કરી દીધા. તે પણ પડોશના ગામનો રહેવાસી હતો. તે બાપુલાલ પાસે ગયો અને તેને ખરૂં ખોટુ સંભળાવવા લાગ્યો અને ધમકી આપવા લાગ્યો.
બાપુલાલ અને તેની દીકરીના લગ્નનો મામલો હજી ઉકેલાયો નથી. તેને હજી પણ ધમકીઓ મળી રહી છે. અંદાજે 35 વર્ષીય બાપુલાલનું કહેવું છે કે નશામાં બે શખ્સોએ મારી દીકરીની સગાઈની વાત કરી હતી. મેં તેમને કહ્યું કે આવું ન થઈ શકે. કારણકે મારી દીકરી હજી નાની છે. તેઓ કહેવા લાગ્યા કે હવે કંઈ ન થઈ શકે. સગાઈ થઈ ચુકી છે. આ રીતે આ વાતને વર્ષો વીતી ગયા.
કોરોનાને કારણે લોકડાઉનમાં બાપુલાલ ઘરે આવી ગયો. દીકરીની ઉંમર લગ્નને લાયક થઈ ગઈ હતી. મેં તેના માટે યુવકની શોધ હાથ ધરી. આ વાતની ખબર ત્રીજા શખ્સને પડતા તે ધમકીઓ આપવા લાગ્યો. તેનું કહેવું છે કે તે દિવસે નક્કી થયું હતું કે તમારી દીકરીના લગ્ન મારી દિકરા સાથે થશે. હવે કાં તો લગ્ન કરી દો નહીંતર ઝઘડાના સાત લાખ રૂપિયા આપીને પોતાને આઝાદ કરાવી લો. તેણે એમ પણ કહ્યું કે તમને મારી વાતથી તકલીફ હોય તો પંચ બોલાવીને નિર્ણય કરી લઈએ. બાપુલાલનું કહેવું છે કે તે પંચ બોલાવે તો વધુ પૈસાનો ખર્ચ થાય. મારી દીકરી ભણવા માંગે છે. જ્યારે યુવકનો બાપ કહે છે તે ભણવા નહીં દે અને તેની પર તેજાબ ફેંકી દેશે.
બાપુલાલનું કહેવું છે કે તે એકલો નથી. તેના જેવા કેટલાય મજૂર માબાપ છે જે આ પ્રથાથી પરેશાન છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ફેલાયેલી કુપ્રથા નાતરાનો ઝઘડો જેટલો અમાનવીય છે તેટલો જ બિભત્સ પણ છે. આ પ્રથાની શિકાર બે નાની છોકરીઓ પણ બની છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 170 કિલોમીટર દૂર ભગવાનપુર ગામમાં તમામ લોકો નાતરા ઝઘડા પ્રથાથી પરેશાન છે. અહીં રહેતી સંતોષનું નાતરૂ પાંચ વર્ષની ઉંમરમાં તેના મામાએ કરી દીધું હતું. જ્યારે સંતોષના માતાપિતાએ નાતરૂ માનવાનો ઈન્કાર કર્યો તો બદલો લેવા માટે તેના પડોશીનું ખેતર સળગાવી દેવામાં આવ્યું હતું.
સંતોષની માતાનું કહેવું છે કે અમને ખબર જ ન હતી કે સંતોષનું નાતરૂ થઈ ગયું છે. તેના મામાએ કોઈ બેઠકમાં કોઈને કહી દીધું હતું કે અને તે લોકોએ સગાઈ માની લીધી. મારા પતિને પણ આ વાતની ખબર ન હતી. અમને ખબર પડતા જ અમે તેનો સાફ ઈન્કાર કરી દીધો. અમને છોકરો પસંદ નથી. સંતોષે પણ લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. અમે ઈન્કાર કરતા તેમણે અમારા પડોશીનું ખેતર સળગાવી દીધું. ખેતર સળગાવવાના આગલા દિવસે પડોશી પાસે એક ચિઠ્ઠી આવી હતી. જેમાં લખ્યું હતું કે તમારા પડોશી તેમની દીકરી સંતોષના લગ્ન અમારા દીકરા સાથે નથી કરી રહ્યા, જેને પગલે આ બધુ કરવામાં આવ્યું છે. હવે કાં તો લગ્ન કરાવી દો નહીતર ઝઘડાના 4.5 લાખ આપો.
અમે તો ફસાઈ ગયા. જેનું ખેતર સળગી ગયું તે તો ખરી ખોટી સંભળાવતો જ હતો. ગામના અન્ય લોકો પણ સાથ આપતા ન હતા. તમામને ડર હતો કે સાથ આપવાથી તે લોકો તેમના ખેતર પણ સળગાવી ન દે. ત્યારબાદ અમે પંચાયત બેસાડી. જેમાં નક્કી થયું કે અમે તેમને પૈસા આપીએ. મારી પાસે ઘર બનાવવાના પૈસા નથી. બે દીકરીઓ છે. તેમને પૈસા ક્યાંથી આપું.
નાતરા-ઝઘડા પ્રથામાં પંચ અને પંચાયતના નિર્ણય સાથે કોઈ પણ છોકરીના બદલામાં પૈસાની લેવડદેવડ બહુ ખુલીને થાય છે. લગભગ તમામ ગામનો એક નિશ્ચિત દલાલ છે. તેનું કામ નાતરા બાદ થતા ઝઘડાને પંચના માધયમથી ઉકેલવાનું છે. જે ગામની દીકરીના પૈસા લેવાના હોય તે જ ગામનો દલાલ પોલીસથી લઈને પંચ સુધીની વ્યવસ્થા કરે છે. બાદમાં પંચ-પરમેશ્વરની હાજરીમાં એક રકમ નક્કી થાય છે, જે લાખોમાં હોઈ શકે છે. આ પૈસા છોકરીનો પરિવાર છોકરાવાળાને આપે છે. ત્યારે તે છોકરી સગાઈથી છુટકારો મેળવે છે.
અન્ય એક બનાવમાં અમરલાલે તેમની દીકરી સગાઈ છ વર્ષની ઉંમરમાં પડોશમાં રહેતા દિપક સાથે કરી દીધી હતી. બન્ને પુખ્ત વયના થાય પછી લગ્ન કરવાનું નક્કી થયું હતું. દરમિયાન દિપકે ગામની જ કોઈ છોકરી સાથે નાતરૂ કરી લીધું. અમરલાલને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે સામેવાળા લોકો સાથે વાત કરવા ગયા પણ તેમણે વાત કરવાનો સાફ ઈન્કાર કરી દીધો. ફરીથી અમરલાલ દિપકના ઘરે ઉકેલ માટે ગયા તો તેમણે ઝઘડાના સાત લાખ આપીને વાત ખતમ કરો એમ કહ્યું. મારી પાસે બે વિઘા જમીન છે. ખેતી કરૂં કે પૈસા આપું. દીકરીના લગ્ન પણ કરવાના છે. તે મારી દીકરીનું અપહરણ કરવાની ધમકી આપે છે. પોલીસને ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી. પોલીસ અને દલાલ મળેલા હોય છે. હાલ દિપકે પરિણીત મહિલા સાથે લગ્ન કર્યા છે. કોઈએ કહ્યું કે તેને બે બાળકો પણ છે.
આ અંગે લાલ ચુનર સંગઠ્ઠનની સંસ્થાપક અને આ વિસ્તારમાં રાજકીય રીતે સક્રિય મોના સુસ્તાની નામની મહિલાનું કહેવું છે કે તે આ પ્રથા રોકવાના પ્રયાસ કરી રહી છે. આ પ્રથા એટલી જૂની છે કે તેને બે ચાર મહિનામાં તમે ખતમ ન કરી શકો. પંચાયતમાં નિર્ણય પુરૂષો જ કરે છે અને દરેક વખતે નિર્ણય છોકરીના પક્ષની વિરૂધ્ધમાં જ હોય છે. જોકે મોટાભાગના કેસમાં છોકરી સગીર હોય છે.
ઘણીવાર આ પ્રકારના લગ્ન એટલા માટે થાય છે કે છોકરાના ઘરમાં કામ કરવા કોઈ વ્યક્તિ મળી જાય. નપુંસક વાળા કેસમાં પણ આવું જ થયું હતું. મોનાનું કહેવું છે કે છોકરીએ તેને કહ્યું હતું કે ફક્ત ખેતીની સિઝનમાં પતિ તેને સાસરે લઈ જતો હતો. બાકીનો સમય તે પિયરમાં રહેતી હતી. ખૂબ લડી ઝઘડીને આ છોકરીને મેં લગ્નથી છુટકારો અપાવ્યો હતો અને બીજા લગ્ન કરાવ્યા હતા.
આ પણ વાંચો:કર્ણાટક સરકાર 1 કરોડથી વધુ આવક ધરાવતા મંદિરો પર કર વસૂલશે, ભાજપે કર્યો વિરોધ
આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…
આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો