દેશમાં કોરોના કેસોમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. પહેલા રોજના 15 હજાર કેસો આવતા હતા જ્યારે અત્યારે રોજના 40 હજાર કેસો આવી રહ્યા છે ત્યારે સરકારની ચિંતાઓ વધે તે સ્વાભાવિક છે અને એટલે જ મોદી સરકારે રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવાનું નક્કી કર્યું છે. વધુમાં વધુ લોકો સુધી રસી પહોંચે તે હેતુથી કોરોના વેક્સીનેશનને લઇને ભારત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. દેશમાં એક એપ્રિલથી વેક્સીનેશનનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. હવે 45 વર્ષથી વધુની ઉંમરવાળા દરેક વ્યક્તિને કોરોનાની વેક્સીન લગાવવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે લોકોએ તેમનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને સરળતાથી સરકારી-પ્રાઇવેટ સેન્ટર્સ પર વેક્સીન મળી શકશે.
મહત્વનું છે કે અત્યાર સુધી દેશમાં સ્વાસ્થ્યકર્મિઓ, કોરોના વૉરિયર્સની સાથે 60 વર્ષથી વધુ ઉંમરના, 45 વર્ષથી વધુ ઉંમરના (ગંભીર બીમારીથી પીડિત) લોકોને વેક્સીન લગાવાઇ રહી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં પ્રકાશ જાવડેકરે જાણકારી આપી કે દેશમાં અત્યાર સુધી 4.85 કરોડ લોકોને વેક્સીન લગાવવામાં આવી ચુકી છે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે ગત દિવસોમાં દેશમાં કુલ 32 લાખ કોરોના વેક્સીનનો ડોઝ લગાવવામાં આવ્યો છે.
મહત્વનું છે કે દેશમાં અંદાજે 10 હજાર સરકારી સેન્ટર્સ અને હજારો પ્રાઇવેટ સેન્ટર્સ પર વેક્સીન લગાવાઇ રહી છે. સરકારી સેન્ટર્સ પર વેક્સીનનો ડોઝ મફત છે એટલે કે રસી ફ્રીમાં મુકાવી શકાય છે. જ્યારે પ્રાઇવેટ સેન્ટર્સ પર 250 રુપિયા પ્રતિ ડોઝના હિસાબે વેક્સીન લગાવાઇ રહી છે.