@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
કોરોનાની રસી સુરક્ષિત ન હોવાની અને તેની આડઅસરો થતી હોવાની વાતો વહેતી થઈ છે, તેવા સમયે અમદાવાદ સિવિલ ઓર્થોપેડિક વિભાગનાં 50 કરતા વધુ લોકોએ ‘સંગઠન શક્તિથી સિદ્ધિ’ નું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું અને એક સાથે કોરોના સામે રક્ષણ મેળવવાની રસી લઈને આ બધી વાતો નિરર્થક અને ગેરમાર્ગે દોરનારી હોવાનું ફરી એકવાર સાબિત ક્યું હતું.
કોરોના સામે રસીકરણના આજે ત્રીજા દિવસે અમદાવાદ સિવિલમાં “ન ભૂતો ન ભવિષ્યતિ” કહી શકાય એવી ઘટના સર્જાઈ હતી. હોસ્પિટલ સંકુલમાં કાર્યરત ઑર્થોપેડિક વિભાગનાં તમામ સિનિયર તબીબો અને સંલગ્ન કર્મચારીઓએ એક સાથે રસી મેળવીને કોરોના મહામારીને નિયંત્રણમાં લેવાની ગુજરાત સરકારની ઝુંબેશ તથા મહારસીકરણ અભિયાનમાં પોતાનો અતૂટ ભરોસો પ્રતિબિંબિત કર્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. જે. વી. મોદીએ સૌપ્રથમ જાતે રસી લીધી હતી. તમામ તબીબો, અધ્યાપકો, કર્મચારીઓ પ્રાધ્યાપકોથી લઇને સંલગ્ન કર્મચારી સહિતના ૫૦ કરતા વધુ લોકોના ઓર્થોપેડિક વિભાગે એક સાથે રસી મેળવીને વિક્રમ સર્જ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની સંવેદનશીલ સરકાર રાજ્યના સમસ્ત ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ સહિત તમામ નાગરિકોને કોરોના સામે રક્ષણ મેળવવાની રસી આપીને અભય સુરક્ષાકવચ પ્રદાન કરવા માટે કૃતસંકલ્પ છે, તેવા સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના પચાસ કરતા વધુ સ્ટાફે સાગમટે રસી લઇને સરકારના સંકલ્પને ચરિતાર્થ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…