રાજ્યમાં ગાય-ભેસ સહિતના પશુધન ચરાવવા મુદ્દે અનેક વાર પ્રશ્નો ઉભા થાય છે. ત્યારે ગોચર નહિ હોવાના પ્રશ્નો આવીને ઉભા રહે છે.ત્યારે આજ રોજ વિધાનસભામાં ગોચરને લાગતો ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. રાજ્યના 2 303 ગામોમાં એક પણ ગોચર નહિ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પશુ માલિકો પોતાના પશુધનને કયા ચરાવે તે પ્રશ્ન ઉભો થયો છે.
અત્રે નોધનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સતત ગોચરની જમીનમાં સતત ઘટાડો નોધાઇ રહ્યો છે. વિધાનસભા ગૃહમાં ખુદ સરકારે ખૂટતા ગૌચરના આંકડા જણાવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર રાજ્યના 9 હજાર 29 ગામો લઘુતમ ગૌચર કરતાં ઓછું ગૌચર ધરાવે છે. જ્યારે કે 2 303 ગામોમાં ગોચર છે જ નહી.
સૌથી વધારે બનાસકાંઠા જીલ્લામાં 1 હજાર 165 ગામોમાં લઘુતમ ગૌચર કરતાં ઓછું ગૌચર છે. જ્યારે કે વલસાડ જીલ્લામાં 250 ગામોમાં બિલકુલ ગૌચર નથી. ગૌચર ન હોવાના કારણે પશુઓ માટે ચરીયાણનો વિકલ્પ રહ્યો નથી.
બજેટ સત્ર દરમિયાનની પ્રશ્નોત્તરીમાં ગુજરાત સરકારે જવાબ આપતા કહ્યું કે છેલ્લા બે વર્ષમાં કુલ 103 કરોડ 80 લાખ 73 હજાર 183 ચોરસ મીટર સરકારી પડતર, ખરાબાની અને ગૌચર જમીન ભાડે અથવા વેચાણથી પધારવી દેવામાં આવી છે. આમ સરેરાશ જોઈએ તો દૈનિક સરકારે 14.22 લાખ જમીન ઉદ્યોગોને લ્હાણીમાં આપી દીધી છે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ થયેલ આંકડા અનુસાર 103,29,35,124 ચોરસ મીટર સરકારી જમીન વેચાણ અથવા ભાડેથી આપવામાં આવી છે. સરકારે 18 લાખથી વધુ ગૌચર જમીન પણ લ્હાણીમાં આપી હોવાની કબૂલાત કરી છે. ગત બે વર્ષમાં અંદાજે જેટલી જમીન વેચવામાં આવી છે તે ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ કરતા પણ બમણી સાઈઝની છે. તાજેતરના સીમાંકન બાદ અમદાવાદ શહેરનો કાર્પેટ એરિયા 530 ચોરસ કિલોમીટર થયો હતો એટલેકે ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં બમણા અમદાવાદ કરતા પણ વધુ જમીન આપી દીધી છે.