- ગુજરાતના ૧૫ જીલ્લાઓમાં HRCT મશીનો જ નથી ,
- તમામ જીલ્લાઓ સુધી RT-PCR લેબની વ્યવસ્થા થઈ શકી નથી.
- ૭ કરોડની વસ્તી સામે ૭ હજાર ઓક્સિજન યુક્ત બેડ બનાવી શક્યા નથી.
- પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં 5000 જેટલી અને મહાનગરપાલિકા હસ્તક આરોગ્ય કેન્દ્રમાં 2800 જેટલી પેરામેડિકલ સ્ટાફની જગ્યાઓ ભરતી વિના ખાલી પડી છે.
- આ બધુ પચ્ચીસ પચ્ચીસ વરસ સતત તમે મત આપી એકધારી સેવા આપ્યા પછીની સ્થિતિ છે.
ગુજરાત રાજ્યમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં ૫૦૦ થી ૬૦૦ જેટલા નવા કેસ વધી રહ્યા છે. તેમાય રાજ્યના મહાનગરોની હાલત અત્યંત કફોડી બની છે. કોરોના દર્દી અને તેમના સગાઓએ ટેસ્ટીંગ થી માંડી ને સ્મશાન ગૃહ સુધી લાંબી લાઈનોમાં બેસવું પડી રહ્યું છે. કોરોના દરીઓ માટે ટેસ્ટીંગ કીટ થી માંડી કોરોના ના ઇલાજમાં વપરાતી દવા અને ઇન્જેકશનો, ઓક્સીજન, વેન્ટીલેટર તમામ વસ્તુઓની હાલની પરિસ્થિતિમાં અછત વર્તાઈ રહી છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી સત્તા થી વિમુખ એવી કોંગ્રેસે સત્તાધારી ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે.
કોંગ્રેસ પ્રવક્તા જયરાજ સિંહે શાબ્દિક બાન છોડતા જણાવ્યું છે કે, રાજ્યનુ લાખો કરોડનું આરોગ્ય બજેટ વપરાયુ તો ક્યાં વપરાયુ એ પહેલો પ્રશ્ન છે ? પી.એમ. કેર ફંડમાંથી રાજ્ય સરકારને ફળવાયેલા નાણા ક્યાં વપરાયા એ બીજો પ્રશ્ન છે ? માસ્કના નામે ઉઘરાવેલા કરોડો રૂપિયાનું શુ થયુ એ પણ વ્યાજબી સવાલ છે. જો નાગરિકોના જીવવાના સંવૈધાનિક અધિકાર જ ઉપલબ્ધ ના હોય તો ગુજરાત વિકાસશીલ કહેવાય ખરૂ ?
ઓક્સીજન નહી, ઈન્જેક્ષન નહી, વેન્ટીલેટર નહી, બેડ નહી, સ્ટાફ નહી, એમ્બ્યુલન્સ અને શબવાહિની પણ નહી અને સ્મશાનમાં પણ જગ્યા નહીં એવા ખાલીખમ ગુજરાતને અડીખમ ગુજરાત કહેનારાને શરમ આવવી જોઈએ.
કોવીડ ટેસ્ટમાં વિલંબથી લક્ષણ ધરાવતા લોકો સીટી સ્કેન કરાવવા જાય ત્યા પણ સરકારે દયા કરતા હોય તેમ રૂપિયા 3000 મહતમની જાહેરાત કરી. વિજયભાઈને એ ખબર જ ન્હોતી કે વડોદરા જીલ્લામાં તેમના જ અધિકારી રૂપિયા 2500 માં HRCT કરવા એવો આદેશ બહાર પાડી ચુક્યા હતા. તે સિવાય પણ ઘણા જીલ્લાઓમાં ખાનગી હોસ્પિટલ્સ અને ટ્રસ્ટની હોસ્પિટલ્સમાં આ રીપોર્ટ રૂપિયા ૧૨૦૦ થી ૧૫૦૦ સુધીમાં થતો જ હતો. વિજયભાઈની જાહેરાત બાદ આ પ્રાઈવેટ લેબની બહાર સરકારશ્રીના આદેશનો લાભ લઈ રૂપિયા 3000 ના ચાર્જના પાટીયા ઝુલવા માંડ્યા છે. મતલબ વિજયભાઈએ કમાવવાની તક પુરી પાડી એવું લાગે છે.
જો વિજયભાઈ પાસે નાણાની અછત હોય તો હિંમતપૂર્વક પી.એમ. કેર ફંડથી રાજ્યનો હીસ્સો માંગવો જોઈએ.
રાજ ધર્મ જ બજાવવો હોય તો પોતાનું ૨૦૦ કરોડનું વિમાન વેચી એના નાણાથી સીટી સ્કેન કે HRCT ટેસ્ટ માટેના મશીનો ખરીદી લેવા જોઈએ. એક સવા કરોડના મશીન જીલ્લે જીલ્લે ના હોય તો ગુજરાત ગતિશીલ કેવી રીતે કહેવાય ? અને મુખ્યમંત્રી સંવેદનશીલ કેવી રીતે કહી શકાય ?