અમદાવાદ,
ગુજરાતના પાઠ્ય પુસ્તક મંડળની મોટી બેદરકારી સામે આવી છે. જેમાં ગુજરાતના આખે આખા સાત જિલ્લા જ ખોવાઈ ગયા છે. ધો.6ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં વિદ્યાર્થીઓને મોડા મળેલા આ પુસ્તકમાં છબરડો જોવા મળ્યો છે. પાઠ્યપુસ્તકમાં છબરડાના મામલે GCERTના ડાયરેક્ટર ટી.એસ.જોશીએ નિવેદન આપ્યું છે.
જોશીએ જણાવ્યું છે કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ક્ષતિ હશે તો નવા પાઠ્યપુસ્તકમાં સુધારો કરાશે. દહેરાદૂનની સંસ્થાના પ્રમાણિત હોય એ જ મુકાય છે. દહેરાદૂનની સંસ્થામાંથી વિગતો પણ મંગાવવામાં આવશે.
આ જિલ્લાઓનાં નામનો સમાવેશ નથી થયો
ધો.6ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં જે જિલ્લાઓનાં નામનો સમાવેશ નથી થયો તેમાં, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, મહિસાગર, તાપી, છોટાઉદેપુર અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે.
પાઠ્ય પુસ્તકમાં ગુજરાતમાં થતાં પાકો, અભ્યારણ્યો, ખનીજ સંપત્તિ, વરસાદ વગેરે વિશે માહિતી આપવા માટે વિવિધ નક્શાઓની મદદ લેવામાં આવી છે. આ નક્શાઓમાં નવા સાત જિલ્લાઓનો સમાવેશ કરવામાં જ નથી આવ્યો.
સંસ્કૃતના પુસ્તકમાં મોટો છબરડો
આ પહેલા ધોરણ.12ના અંગ્રેજી માધ્યમના સંસ્કૃતના પુસ્તકમાં મોટો છબરડો જોવા મળ્યો હતો. અધિકારીઓએ તેના માટે અનુવાદકને જવાબદાર ગણાવતાં હાથ અદ્ધર કરી લીધા હતા. પ્રિન્ટીંગને કારણે ભુલ થયાનો પાઠ્ય પુસ્તક મંડળે પોતાનો બચાવ પણ કર્યો હતો.
રામ દ્વારા સીતાનું અપહરણ
પુસ્તક ‘ઇંટ્રોડક્શન ટું સંસ્કૃત લિટ્રેચર’ના પાના નંબર 106 પર લખવામાં આવ્યું હતુ, ‘અહીં કવિએ પોતાના મૌલિક વિચાર અને વિચારથી રામના ચરિત્રની સુંદર તસવીર રજૂ કરી હતી. રામ દ્વારા સીતાનું અપહરણ કર્યા બાદ લક્ષ્મણ દ્વારા રામને આપવામાં આવેલા સંદેશનું સુંદર વર્ણન કરવામાં આવ્યું હતુ.
તમને જણાવી દઇએ કે અહીં રામની જગ્યાએ રાવણ લખવાનું હતું. ભારતના વિદ્યાર્થીઓ આવી રીતે સંસ્કૃત શીખશે તો કઇ દિશામાં જશે ભણતર એ એક ચિંતાની બાબત છે.