અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા ગરીબ આવાસ યોજનાના બે બ્લોકસ ધરાશાયી થયા હતા. આ ઘટનાના પગલે AMC દ્વારા આ ગરીબ આવાસ યોજનાના વધુ છ બ્લોક્સને તોડી પાડવામાં આવશે.
અમદાવાદ શહેરના ઓઢવ ગરીબ આવાસ યોજનાના બે બ્લોક ગત રવિવારની સાંજે ધરાશાયી થયા હતા. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આ ગરીબ આવાસ યોજના હેઠળ બંધાયેલા કુલ ૮૪ બ્લોકની મજબૂતાઇ ચકાસવા માટે AMC ના સત્તાધીશો દ્વારા એક વિશેષ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેના અંતર્ગત શુક્રવારે સાંજના એએમસીના સત્તાધીશોને સર્વે રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો. આ સુપરત કરાયેલા રિપોર્ટ મુજબ વધુ પંદર બ્લોકસને ભયજનક બ્લોક તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જે પૈકીના બ્લોક નં. ૪૧ થી ૪૪ તેમજ ૬૧ અને ૬ર બ્લોક એમ કુલ છ બ્લોકસને તાત્કાલિક ધોરણે ખાલી કરવા માટેની નોટિસ આપી દેવામાં આવી છે. આથી હવે જન્માષ્ટમીના તહેવાર બાદ એક બે દિવસમાં આ તમામ બ્લોકને તોડી પાડવામાં માટેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સંભાવના બળવતર બની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રવિવારની સાંજે શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી ગરીબ આવાસ યોજના હેઠળ બનાવાયેલી વસાહતના બ્લોક નં.ર૩ અને ર૪ રમકડાના મહેલની જેમ પળવારમાં જમીનદોસ્ત થઈ ગયા હતા. જેના કારણે સમગ્ર અમદાવાદ શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ બે બ્લોક ધરાશાયી થઈ ગયા બાદ એએમસીના તંત્ર દ્વારા આ ગરીબ આવાસ યોજના વસાહતના બાકી રહેલા અન્ય ૮ર બ્લોકસની મજબૂતાઇ ચકાસવા માટે તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સર્વે ટીમના આ પ્રાથમિક રિપોર્ટમાં આવાસ યોજનાના વધુ છ બ્લોકસને ભયજનક જાહેર કરવામાં આવ્યા છે. જેના કારણે શુક્રવારે એએમસીના તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત મેળવીને આ છ બ્લોકસમાં રહેતા તમામ પરિવારોના લોકોને મકાન ખાલી કરાવવાની ફરજ પાડવામાં આવી છે.
આ તમામ બ્લોકસ ખાલી થઈ ગયા પછી તમામ બ્લોકસને સીલ કરી દેવામાં આવ્યા છે. જો કે આ બ્લોકસને તોડી પાડવા માટેની કાર્યવાહી જન્માષ્ટમીના તહેવાર બાદ હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે.