મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રસ્તા પર રખડતાં ગાય સહિતનાં ઢોર ભારે સંવેદનશીલ મુદ્દો બન્યો છે. એક તરફ રસ્તા પર ઠેરઠેર અડીંગો જમાવીને બેસનાર રખડતી ગાય સહિતનાં ઢોર વાહનચાલકો માટે મુશ્કેલી સર્જી રહ્યા છે. વૃદ્ધો, મહિલાઓ સહિતનાં રાહદારીઓને ગમે ત્યારે અડફેટે ચઢાવીને આફતમાં મૂકે છે તો બીજી તરફ હાઇકોર્ટની લાલ આંખથી તંત્રે રખડતાં ઢોરને પકડવાની ઝુંબેશને વધુ સઘન કરવાથી મને કમને ફરજ પડી રહી છે.
તમામ રખડતાં ઢોર ને પકડીને બહેરામપુરા ઢોરવાડામાં પૂરવામાં આવે છે. જો કે આ ઢોરવાડામાં પુરાયેલા ઢોરમાં ગાય, વાછરડાં સહિતનાં પશુનાં મોતનું પ્રમાણ ભારે ચોંકાવનારું છે, જેનાં કારણે ઢોરવાડામાં પશુઓનાં મોત માટે જવાબદાર કોણ, તંત્ર કે માલધારીઓ તેવો ભારે વિવાદ ઊભો થયો છે.
ગત નાણાકીય વર્ષ 2017-18નાં તંત્રનાં સત્તાવાર આંકડાને તપાસીએ તો સત્તાવાળાઓ દ્વારા કુલ 14699 ઢોર પકડાયાં હતાં, જે પૈકી 3459 ઢોરને રૂ. 97.48 લાખનો દંડ વસૂલીને છોડાયા હતા અને 7149 ઢોરને મુંબઇની પાંજરાપોળમાં મોકલાયા હતા. જ્યારે કુલ 1288 ઢોર હતા. થોડા જ સમયગાળામાં ઢોરવાડા માં જ મરણને શરણ થયાં હતાં.