અમદાવાદ,
ઉડાન યોજના હેઠળ રિજનલ એર કનેક્ટિવિટી સંદર્ભે રાજ્ય સરકારે છથી નવ સીટરના સી પ્લેન સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી થઇને સુરત ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજી ડેમ સુધીનું સી પ્લેનનું કામ ઓગસ્ટ સુધીમાં પૂરું કરવાનું નક્કી કર્યું છે.
આ સાથે ગુજરાત અને અન્ય રાજ્યના શહેરની કનેક્ટિવિટી માટેના બીજા 13 રૂટ પર ફ્લાઇટ શરૂ કરવાની કામગીરી પણ ઓગસ્ટ-2019 સુધીમાં પૂર્ણ કરવાની નાગરિક ઉડ્ડયન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે. ઉપરાંત અમદાવાદથી ઓઝાર(નાસિક)ની ફ્લાઇટ 13 ફેબ્રુઆરીથી શરૂ થશે.
મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ વચ્ચે બુધવારે મોડી સાંજ સુધી હાથ ધરાયેલી મીટિંગમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે અંતર્ગત સી પ્લેન સહિત વિવિધ 13 રૂટ પર ફ્લાઈટ શરૂ કરવા માટે તારીખ 28 જાન્યુઆરી સુધીમાં ટેન્ડર સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.