ગાંધીનગર,
હાલમાં રાજ્યભરમાં પડી રહેલા સાંબેલાધાર વરસાદના કારણે અનેક જિલ્લાઓ જળબંબાકાર થયા છે, ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી ૨૦ જુલાઈના રોજ થનારો જૂનાગઢનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન ૨૦ જુલાઈએ જૂનાગઢમાં ૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલી સિવિલ હોસ્પિટલના ઉદ્ઘાટન માટે આવવાના હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે પીએમ મોદીનો પ્રવાસ રદ્દ થઈ શકે છે તે અંગે સતત બે દિવસથી મંતવ્ય ન્યુઝ દ્વારા અહેવાલ આપવામાં આવી રહ્યા હતા, ત્યારે હવે આ અહેવાલ પર અંતે મહોર મારવામાં આવી છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમ મોદી ૨૦ જુલાઈના રોજ માત્ર દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં કાર્યક્રમમાં હાજર રહી શકે છે. આ પહેલા તેઓના સત્તાવાર કાર્યક્રમ મુજબ પીએમ મોદી ધરમપુરના કાર્યક્રમમાં હાજરી આપી જાહેર જનતાને સંબોધન કરવાના છે.
મહત્વનું છે કે, ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચુંટણીને હજી ઘણા દિવસો બાકી છે પરંતુ પીએમ મોદી દ્વારા વર્તમાન સમયથી મિશન ૨૦૧૯ શરુ કરી દેવામાં આવ્યું છે. અ પહેલા તેઓ યુપી અને પશ્ચિમ બંગાળમાં પણ જાહેરસભાઓને સંબોધિત કરી ચુક્યા છે.