ભુજ
એક તરફ રાજ્યની ગુજરાત સરકાર શિક્ષણની મોટી મોટી વાતો કરે છે અને અવનવા પ્રોજેકટ થકી વિદ્યાર્થીઓને શાળા તરફ આકર્ષવાનો પ્રયાસ કરે છે પરંતુ તેની વાસ્તવિક પરિસ્થિતિ ઉભી થતી હોય તેમ ભુજના વાણીયાવાડ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓના અભાવે સરકારે બંધ કરી છે.
ભુજના વાણિયાવાડ વિસ્તારમાં આવેલી પંચાયતી રાજ હસ્તકની પ્રાથમિક શાળા નંબર 9 કે જે પીથા વાળી સ્કૂલ તરીકે પણ ઓળખાય છે. જે શાળા વિદ્યાર્થીઓના અભાવે સરકારે બંધ કરી છે. આ શાળાની ઇમારતનું કામ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ શાળામાં વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પરંતુ વિદ્યાર્થીઓ ના હોતા આખરે આ શાળા બંધ કરવાની ફરજ પડી છે.
શાળા બંધ થવાના કારણ અંગે તપાસ કરતા માલુમ પડ્યું કે , આસપાસના વિસ્તારમાં ભરચક બજાર આવેલી છે. આજુબાજુના વિસ્તારમાં શાકભાજી વાળાઓ , ધંધાર્થીઓ હોવાથી ત્યાં સત્તત અવરજવર ચાલુ રહેતા વિદ્યાર્થીઓના ભણતર પર અસર ન પડે તે માટે વાલીઓએ પોતાના બાળકોના એડમિશન પંચાયતી શાળા નંબર 9 માંથી કઢાવી વાણીયાવાડની અન્ય શાળામાં બાળકોના નામ નોંધાવ્યા છે.
જેથી આ શાળામાં બાળકો ઓછા થવાથી આ શાળા બંધ કરવાની ફરજ પડી છે. જો કે આ સ્થળેથી થોડેક જ દૂર આવેલી બીજી સરકારી શાળામાં વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો. બાળકોની અવરજવર થકી આસપાસના વિસ્તારોમાં કિલ્લોલ ભર્યું વાતાવરણ ગુંજતું હતું. સ્થાનિક અગ્રણીઓ અને વેપારીઓએ આ શાળા ફરીથી શરૂ થાય તેવી માંગ કરી છે.