દેવભૂમિ દ્વારકા,
દેવભૂમિ દ્વારકા જિલ્લાની જામકલ્યાણપુર તાલુકાના એક ગામની 19 વર્ષની દુષ્કર્મ પીડિતા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવા છતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ ન કરાતા હવે પીડિતા અને તેના પરિવારે ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
જિલ્લાના પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને પીડિતાના પરિવારજનોએ જણાવ્યુ હતુ કે, તેમણે જામખંભાળિયા પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેને છ દિવસ વીતવા છતાં પણ પોલીસે હજુ સુધી આરોપીની ધરપકડ કરી નથી.
જેના કારણે આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યો છે અને આ પરિવારને ધાક-ધમકી આપે છે. જો પોલીસ તાત્કાલિક આરોપીની ધરપકડ નહીં કરે તો પરિવાર ઉપવાસ આંદોલન કરશે. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે, આરોપી પીડિત મહિલાનો કુટુંબી મામા થાય છે અને પીડિતાને પગમાં દુઃખાવો હોવાથી સારવાર માટે લઇ જવાને બહાને અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો, જ્યાં તેના પર બળાત્કાર ગુજારીને ફરાર થઈ ગયો હતો.