ગુજરાત વિધાનસભાની ચુંટણીના ૯ ડિસેમ્બરે યોજાનારા પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે ૫ વાગ્યાથી શાંત પડશે. પ્રથમ તબક્કાના પ્રચારના અંતિમ દિવસે તમામ રાજકીય પક્ષોના અનેક દિગ્ગજ નેતાઓ આજે તેમની પૂરી તાકાત અજમાવશે. ઉલ્લેખનિય છે કે, પ્રથમ તબક્કામાં વિધાનસભાની કુલ ૮૯ બેઠક પર મતદાન થશે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત ખાતે એક જાહેરસભાને સંબોધશે, આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે કડાના, ખેરાલુ અને સિદ્ધપુરમાં રેલી યોજશે જયારે વિદેશ મંત્રી અમદાવાદ અને યૂપી સીએમ યોગી આદિત્યનાથ સોમનાથના દર્શન કરીને રાજકોટ અને વડોદરામાં સભાને સંબોધશે.
જયારે કોંગ્રેસ પણ અંતિમ દિને પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપને વધુ એકવાર ઘેરવાનો પ્રયાસ કરશે. ગુરુવારે કોંગ્રેસના લગભગ ૨૫ થી ૩૦ દિગ્ગજ નેતાઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ યોજશે અને ભારતીય જનતા પાર્ટી પાસે વિકાસ પર જવાબ માંગશે.