પાલનપુર,
પાલનપુરમાં એક પરિવાર પોતાના પાલતુ કુતરાના નામે રેશનની દુકાનેથી અનાજ લેતો હોવાનું સામે આવ્યું છે. પાલનપુરમાં રહેતો આ પરિવાર 8 વર્ષથી કૂતરાના નામે સરકારી સસ્તા અનાજની દુકાનેથી અનાજ લેતો હતો. આ વાતની જાણકારી મામલતદાર કચેરીને થઈ તો દોડધામ થઈ ગઈ હતી.
પાલનપુરના જેતવાસ ગામના મુગલીબેન પરમારનો પરિવાર રહે છે. તેમના ઘરે આવેલી નવી વહુનું નામ રેશન કાર્ડમાં શામેલ કરવા પરિવારને રાત-દિવસ મામલતદાર કચેરીના ચક્કર ખાવા પડી રહ્યા હતા. પરંતુ તેમ છતાં તેનું નામ રેશન કાર્ડમાં દાખલ નહોતું કરાઈ રહ્યું.
સરકારી અધિકારીઓના કામથી કંટાળીને છેવટે વહુ મામલતદાર કચેરીએ પહોંચી ગઈ. અહીં પહેલા તેણે પોતાનું નામ રેશન કાર્ડમાં ઉમેરવા માટે કર્મચારીઓને કહ્યું. પરંતુ તેઓ તેને ટાળતા રહ્યા. તેનાથી નારાજ થઈને તેણે કહ્યું કે, જો કાળુ કૂતરાનું નામ રેશન કાર્ડમાં લખી શકો છો તો મારું નામ કેમ નથી લખી રહ્યા. આટલું સાંભળતા જ કલેક્ટર કચેરીમાં સોંપો પડી ગયો.
મુગલીબેનના પરિવારે અગાઉ રેશનકાર્ડમાં નામની નોંધણી સમયે તેમના પરિવારના સભ્ય તરીકે કાળુ નામના કુતરાનું નામ લખાવ્યું હતું.કાળુ મુગલીબેનના પરિવારનો હિસ્સો હતો.જોકે મામલતદાર કચેરીએ પણ વસતિ ગણતરી કરતા સમયે કાળુનું નામ રેશનકાર્ડમાં દાખલ કરી દીધું હતું.
મુગલીબેનના પરિવારે 8 વર્ષ સુધી કાળુના નામે અનાજ લીધું હતું. જો કે રેશનકાર્ડમાં થયેલી આ ભૂલ સામે આવ્યા બાદ મામલતદાર કચેરીએ તરત જ કૂતરાનું નામ બદલીને મહિલાનું નામ ઉમેરી દીધું હતું.
હવે તો કૂતરાની પણ મોત થઈ ચૂકી છે. જોકે ફરિયાદ મળતા જ કલેક્ટર કચેરીએ પરિવારની વહુનું નામ ઉમેરીને તેમને નવું રેશન કાર્ડ બનાવી આપ્યું.”