અમદાવાદ: ગુજરાતની રાજધાની ગાંધીનગરની પાસેના ગામમાં ફરી એક વખત એક દલિત યુવકને લગ્ન પ્રસંગે ઘોડી પર ચડતો અટકાવવામાં આવ્યો હતો અને દલિત ઘોડી પર ન ચઢી શકે તેવી ધમકી આપીને તેને નીચે ઉતારી દેવાતા મામલો તંગ બન્યો હતો. જો કે આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે આવીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી ત્યાર બાદ પોલીસ રક્ષણ હેઠળ ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર જિલ્લાના પારસા ગામે આજે રવિવારે બપોરના સમયે એક દલિત પરિવારમાં યુવતીના લગ્ન હતા. આ લગ્ન માટે બહાર ગામથી વરરાજા અને જાનૈયાઓ લક્ઝરી બસ અને કારમાં જાન લઈને આવ્યા હતા. વરઘોડો કાઢવા વરરાજા માટે ઘોડી પણ આવી ગઈ હતી આથી લગ્નમાં આવેલા વરરાજા અને જાનૈયાઓ વરઘોડો કાઢવાની તૈયારી કરી રહ્યા હતા. આ સમય ગામના દરબાર સમાજના લોકો આવી પહોંચ્યા હતા અને દલિત સમાજના વરરાજાને ઘોડી પર ચઢતા અટકાવ્યો હતો. એટલું જ નહીં, આ લોકોએ ઘોડી વાળાને પણ ધમકી આપી હતી કે, જો તું તારી ઘોડી લઈને જતો રહે નહિ તો તલવારથી તારી ઘોડીના પગ કાપી નાખીશું.
આ મામલે વિવાદ વધુ વકરતા જાનમાં આવેલી એક વ્યક્તિએ માણસા પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ ઘટના અંગે સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે ઘટનાસ્થળે આવ્યા બાદ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં આ પછી પોલીસ બંદોબસ્ત સાથે ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
દલિત નેતા અને MLA જિગ્નેશ મેવાણીએ કહ્યું ટ્વીટ
આ મામલે દલિત યુવા આગેવાન અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ ઘટના અંગે ટ્વીટ કરીને સરકાર પ્રહાર કરીને જણાવ્યું હતું, ગઈકાલે ગુજરાતના ડીજીપીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે ગુજરાતમાં દલિતો સુરક્ષિત છે અને આજે સમાચાર મળી રહ્યા છે કે ગાંધીનગરના પારસા ગામે દલિત સમાજના વરરાજાને ઘોડી પરથી ઉતારીને અપમાનિત કરવામાં આવી રહ્યા છે. નક્કી આ સરકારનું કોઈ ષડયંત્ર લાગી રહ્યું છે.