અમદાવાદઃ Gujarat ના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ ઇઝરાયલ પ્રવાસે છે ત્યારે ગુજરાતમાં વર્ષોથી રહેતા યહુદીઓને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાનો તેમણે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની મુલાકાત દરમિયાન તેમણે આ અંગે નિર્દેશ આપ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા યહુદીઓને લઘુમતીનો દરજ્જો આપવા માટે વહેલી તકે જાહેરનામુ બહાર પાડવામાં આવશે. ત્યાર બાદ યહુદી સમાજને લઘુમતી સમાજને મળતા વિવિધ લાભ મળવાનું શરૂ થઈ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા યહુદી સમાજના લોકોને હુમલાની ધમકી મળી હતી, ત્યારે અમદાવાદ શહેરના ખમાસા વિસ્તારમાં રહેતા યહુદીઓને ત્યાં આઇટીબીપીના જવાનોને સુરક્ષા માટે મોકલવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષના જાન્યુઆરી માસમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પીએમ નરેન્દ્ર મોદી સાથે અમદાવાદની મુલાકાત લીધી હતી. તે સાથે ઇઝરાયલના ગુજરાત અને ભારત સાથેના સંબંધ વધુ ગાઢ બન્યા છે.