અમદાવાદ: સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા કર્મચારીઓ માટે સબક સમાન એક હુકમમાં હાઈકોર્ટના જસ્ટિસ પી.પી. ભટ્ટે દસ્તાવેજમાં ચેડાં કરી સરકાર તિજોરીને સ્ટેમ્પ ડ્યૂટી-રજિસ્ટ્રેશન ફી સહિતનું નુકસાન પહોંચાડનાર સબરજિસ્ટ્રાર (કર્મચારી)ના નિવૃત્તિના લાભમાંથી રૂપિયા 3.50 લાખની રકમ વસૂલવાનો આદેશ આપ્યો છે. આ સાથે તેમને બે વર્ષ માટે એક ગ્રેડ નીચે ઉતારી દેવાનો પણ આદેશ આપ્યો છે.
કૌભાંડી સબરજિસ્ટ્રાર શેખને ફરજિયાત નિવૃત્ત કરાયા હતા
વર્ષ 1997માં ઓઢવની રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ દરમિયાન સબરજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા અલીમિયાં ગુલામરસુલ શેખ દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન આ કૌભાંડ આચરવામાં આવ્યું હાટુ. જે અન્ગે૩નિ જાણ થતાં તંત્ર દ્વારા આચરતા તેમને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રાર કચેરીમાં સબરજિસ્ટ્રાર પદે ફરજ બજાવી નિવૃત્ત થયેલા અલિમિયા ગુલામરસુલ શેખે ઓઢવમાં 1997માં તેમની ફરજ દરમિયાન કેટલાક દસ્તાવેજો સાથે ચેડાં કર્યા હતા. જે અનુસંધાનમાં સરકાર દ્વારા તેમને વર્ષ 2002માં નોટિસ પાઠવવામાં આવી હતી.
જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તેમની આ કામગીરીને કારણે સરકારની તિજોરીને સ્ટેમ્પ ડ્યૂટીનું 2.36 લાખ અને 29670નું રજિસ્ટ્રેશન ફી પેટેનું નુકસાન થયું છે. આ અંગે તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસ બાદ તેમની સામેના આરોપો સાબિત થયા હતા. જેના કારણે સરકાર દ્વારા તેમને ફરજિયાત નિવૃત્તિ પર ઉતારી દેવામાં આવ્યા હતા તેમજ તેમની સામેની તપાસની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી.
આ મામલે સબ રજિસ્ટ્રાર શેખ દ્વારા હાઇકોર્ટ સમક્ષ અગાઉ પિટિશન કરતા તેને સાંભળીને ફરીથી નિર્ણય કરવા આદેશ આપ્યો હતો. ફરીથી તપાસ બાદ પણ સરકારે નિર્ણયમાં કેટલાક સુધારા કર્યા હતા. આ દરમિયાન તે હુકમથી નારાજ થઇ શેખે ફરીથી હાઇકોર્ટમાં પિટિશન કરી હતી.
આ કેસમાં જસ્ટિસ પી.પી. ભટ્ટે એવું ઠરાવ્યું હતું કે, સબ રજિસ્ટ્રાર શેખને બે વર્ષ માટે નીચલી પાયરી પર ઉતારી દેવામાં આવે. અરજદારને કાયદાકીય જોગવાઇ પ્રમાણે તેને નિવૃત્તિના લાભો આપવામાં આવવા જોઇએ. સરકારના નાણાંકીય નુકસાનનો સવાલ છે ત્યાં અરજદારના નિવૃત્તિના લાભોમાંથી આ રકમની વસૂલાત થવી જોઇએ. કર્મચારીએ કેટલી રકમનું નુકસાન કર્યું તે સ્પષ્ટ ન હોવાથી હાલ અરજદાર પાસેથી 3.50 લાખની વસૂલાતનો હાઇકોર્ટે આદેશ આપ્યો છે.