અમદાવાદ: અખંડ ભારતના ઘડવૈયા એવા ‘સરદાર પટેલ’ની વિશ્વની સૌથી ઊંચા કદની પ્રતિમાનું અનાવરણ માટે હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. તા. 31 ઓક્ટોબરને બુધવારના રોજ બપોર સુધી દેશની આન-બાન-શાન કહેવાય તેવા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરવામાં આવી ચૂક્યું હશે. જે લોકોએ અમેરિકાના ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ને જોવાના સપના સેવ્યા હશે, અને ત્યાં સુધી જઈ શક્યા ન હોય, તેવા લોકો માટે સરદાર પટેલ સાહેબનું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ કોઈ અજાયબીથી ઓછું નથી.
ગુજરાતના સરદાર સરોવર નર્મદા ડેમ નજીક બનેલી આ 182 મીટરની પ્રતિમાના 135 મીટરની ઊંચાઈ પર બનેલી વ્યૂઈંગ ગેલેરી પર બેસીને નીચેનો નજારો કદાચ ભારતના એકપણ પર્યટન સ્થળ પરથી જોવા મળતો નહિ હોય. તેથી અનેક લોકો આ પ્રતિમાની રૂબરૂ મુલાકાત લેવા કે જોવા માટે ખૂબ તલપાપડ થઈ રહ્યા હશે. આ સંજોગોમાં તેઓ અહીં સુધી કેવી રીતે પહોંચી શકો છો? તે અંગે પણ આપ અહીંથી જાણી શકો છો.
અહી સુધી કેવી રીતે પહોંચવું
કેવડિયા કોલોની ખાતે નવનિર્મિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પહોંચવા માટે તમે હવાઈ માર્ગ, રેલ માર્ગ અને સડક માર્ગ દ્વારા પહોંચી શકો છો.
હવાઈ માર્ગ દ્વારા કેવી રીતે પહોંચશો
નર્મદાથી સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા એરપોર્ટ છે. વડોદરાથી નર્મદા આશરે 90 કિલોમીટરની આસપાસ છે. વડોદરા એરપોર્ટ પરથી અન્ય રાજ્ય સાથે કનેક્ટેડ અનેક ફ્લાઈટ્સ છે.
ટ્રેન માર્ગે કેવી રીતે પહોંચશો
જો તમે ટ્રેનથી જવા માંગતા હોવ તો નર્મદા જિલ્લા પાસે બ્રોડગેજ રેલવે કનેક્ટિવિટી છે, જેનું નજીકનું રેલ્વે સ્ટેશન અંકલેશ્વર છે. લોંગ રુટ તથા મોટા સ્ટેશન સાથેની કનેક્ટેડ ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે ઉભી રહે છે. તે નર્મદા જિલ્લાનું કેન્દ્ર રાજપીપળાથી 65 કિ.મી.ના અંતરે છે.
સડક માર્ગ દ્વારા કેવી રીતે પહોંચશો
રોડ (સડક) ટ્રીપના શોખીનો માટે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધી જવાનો રસ્તો બહુ જ એડવેન્ચરસ બની રહે તેવો છે. વડોદરાથી નર્મદા જવાના માર્ગે એન્ટ્રી કરશો તો આજુબાજુ ઘટાદાર વૃક્ષોથી છવાયેલા રસ્તાઓ જોવા મળશે.
રાજ્યના લોકો મધ્યસ્થમાં આવેલા નર્મદા જિલ્લાના હાઈવે નંબર 11 દ્વારા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધી પર પહોંચી શકાય છે. જો તમે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવી રહ્યા હો તો, મુંબઈથી નેશનલ હાઈવે નંબર 48થી સ્ટેટ હાઈવે 64 લેવો.
જયારે રાજસ્થાન તરફથી આવતા હો તો, અમદાવાદ થઈને આવી શકો છો જયારે મધ્યપ્રદેશ તરફથી આવતા હો તો, ગોધરા થઈને આવી શકાય છે.