રાજકોટની જસદણ વિધાનસભા પેટા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. જસદણ પેટા ચૂંટણી જીતવા માટે સરકાર કામે લાગી ગઈ છે. બીજી બાજુ બાવળિયાને હરાવવા માટે ભાજપના જ સ્થાનિક નેતાઓ સક્રિય થયા છે અને કુંવરજી બાવળિયાને હરાવવા માટે કારસો રચી કાઢ્યો છે. ત્યારે આ મામલે ભાજપે હાઈકમાન્ડને પણ જાણ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને તેમને મંત્રી પદ પણ આપવામાં આવ્યું હતું. જેના કારણે સ્થાનિક નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય ગોવિંદ પટેલ અને ભરત બોઘરામાં નારાજગી જોવા મળી રહી છે અને અંદરખાને કોંગ્રેસનો પ્રચાર કરતા હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે.
જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે ત્યારે બંને રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. જસદણ બેઠક પર 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 23 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 3 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. તો ફોર્મ પરત ખેંચવા માટે 6 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.