અમદાવાદ: અમદાવાદ શહેરનું કાંકરિયા લેઈક એક પર્યટનનું સ્થળ તો છે જ પરંતુ હવે ‘કાંકરિયા ફૂડ સ્ટ્રીટ’ને દેશની સર્વ પ્રથમ ‘ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ’નું બિરુદ મળ્યું છે તેમ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું છે.
ભારત સરકારના ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દરેક રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનરને તેઓના રાજ્યમાં આવેલ સ્ટ્રીટ ફૂડ કે જ્યાં ૨૦થી વધારે વેપારીઓ ખાણીપીણીનો વ્યવસાય કરતાં હોય તેવા સ્ટ્રીટને અલગ તારવી તથા ચોખ્ખાઇ, સ્વચ્છતા અને ગુણવત્તાના માપદંડોનું ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પાલન થતું હોય, તેવી ફૂડ સ્ટ્રીટને ‘ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ’ તરીકે નોમિનેટ કરવામાં આવે છે.
આ નોમિનેટ કરાયેલી સ્ટ્રીટ ફૂડ હબ થર્ડ પાર્ટી ઓડિટર દ્વારા સ્વચ્છતા, ચોખ્ખાઇ અને ગુણવત્તાના માપદંડોમાં પાર ઉતરશે તેવી સ્ટ્રીટને ‘ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ’નો દરજ્જો ભારત સરકારના ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના સંયુ્કત પ્રયાસથી કાંકરિયા સ્ટ્રીટને પસંદ કરવામાં આવી છે એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ. જી. કોશિયા દ્વારા જણાવાયું છે.
કોશિયાએ ઉમેર્યુ હતું કે, કાંકરિયા સ્ટ્રીટમાં આવેલા ૬૬ ખાણીપીણી વેચનાર વેપારીઓને ફૂડ સેફ્ટી અને બેઝીક કલીનલીનેસ તથા હાઇઝીન અંગે ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવી હતી, તેઓ દ્વારા પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને કાચામાલની ગુણવત્તા બાબતે પણ ફૂડ સેફ્ટી દ્વારા ધોરણો મુજબ ગુણવત્તા જળવાય તે અંગે અને તેઓ દ્વારા રસોઇ બનાવવા માટે તથા પીવા માટે વપરાતા પાણીની ગુણવત્તા પર નિયંત્રણ કરવામાં આવેલ. તેમજ તેઓ દ્વારા રસોઇ બનાવવા, પીરસવા માટે તથા ગ્રાહક દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વાસણોની ચોખ્ખાઇ માટે પણ સઘન તાલીમ આપવામાં આવી હતી.
આ પછી ભારત સરકાર દ્વારા માન્ય તેવા ઓડિટરો (DNVGL)ની ટીમ દ્વારા કાંકરિયા સ્ટ્રીટનું ઓડિટ કરવામાં આવ્યું અને ઓડિટના અંતે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવેલ ધારાધોરણમાં કાંકરિયા ફૂડ સ્ટ્રીટના તમામ ૬૬ વેપારીઓ વાતાવરણ, સ્વચ્છતા-ચોખ્ખાઇ, ગુણવત્તા તથા બાંધકામ વગેરે બાબતમાં ધારાધોરણ મુજબ જણાઇ આવતા આ બિરુદ મળ્યુ છે.
ભારત સરકાર દ્વારા તાજેતરમાં દેશની ‘‘ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ’’ના સર્ટીફિકેટથી આ સ્ટ્રીટમાં પીરસવામાં આવતા ખોરાક માત્ર આંતરદેશીય પ્રવાસીઓ જ નહી, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પણ શુદ્ધ, સલામત અને ગુણવત્તાસભર ખોરાક મળશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.