હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલનને લઈને SPG લાલાજી પટેલે આપ્યું મોટું નિવેદન. પાટીદાર આંદોલન અંગે વાત કરતા લાલાજી પટેલે કહ્યું કે, “અમારા કહેવા પર લાખો યુવાનો આંદોલનમાં જોડાયા હતા.” તેમણે વધુમાં કહ્યું કે, આંદોલનકારીઓએ આંદોલનને રાજકીય રંગ આપી દીધો છે. અમે કહ્યું છે કે રાજ્યના લાખો યુવાનો આંદોલનમાં જોડાયા હતા જેથી પાટીદાર યુવાનો પરના કેસ પાછા ખેંચવામાં આવે. તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે શહીદ યુવકના પરિવારજનોને માત્ર 1 કરોડ રૂપિયાનું જ આશ્વાસન આપવામાં આવ્યું છે. સરકાર બાંહેધરી આપે છે પણ કાર્યવાહી કરતી નથી. આ માટે અમે ઓગસ્ટ મહિનામાં સરકાર અને જવાબદાર વ્યક્તિને મળીશું.
પાટીદાર અનામત આંદોલન મુદ્દે લાલજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આંદોલન SPGની મદદથી શરૂ કરવામાં આવ્યું હતું. અમારી વિનંતી પર લાખો યુવાનો આંદોલનમાં જોડાયા. સરકારે પાટીદાર યુવાનો પરના કેસ પાછા ખેંચવા જોઈએ. આ સાથે જ તેમણે હાર્દિક પટેલને આડે હાથ લેતા કહ્યું હતું કે, કેટલાક લોકો રાજકારણમાં જોડાયા હોવા છતાં સ્થિતિ હજુ પણ તંગ છે. સમાજે આ લોકોને જેટલો પ્રેમ આપ્યો છે તેટલો કોઈ રાજકીય પક્ષ નહીં આપે. જ્યારે તેઓ અન્ય પક્ષમાં જોડાશે ત્યારે તેમનું શું થશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે. મને ઘણી પાર્ટીઓ તરફથી ઓફર પણ મળી હતી, પરંતુ હું માત્ર સમુદાયની સેવા કરવા માંગુ છું. હું કોઈ રાજકીય પક્ષમાં જોડાવા માંગતો નથી.