Gujarat News: ગુજરાતમાં જમીન કૌભાંડ (Gujarat Land Scam)નો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે સરકારી તંત્ર, ડિજિટલ વેરિફિકેશન સિસ્ટમ અને જમીન વ્યવસ્થાપન પ્રક્રિયા સામે અનેક સવાલો ઊભા કરી દીધા છે. અરવલ્લી જિલ્લાના બાયડ વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમત ધરાવતી આશરે 9 વીઘા જમીનના કથિત ગેરકાયદે સોદા માટે વર્ષો પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતને જીવતા દર્શાવવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે.
Gujarat Land Scam : 9 વીઘા જમીન કૌભાંડનો ખુલાસો
વિદ્યાર્થી નેતા અને સામાજિક કાર્યકર્તા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja)એ દસ્તાવેજી પુરાવાઓ સાથે આ સમગ્ર મામલો જાહેર કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, જે ખેડૂતનું વર્ષ 1972માં અવસાન થયું હતું, તેમના નામે વર્ષ 2010માં આધાર કાર્ડ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2025માં તેમના નામે પાવર ઓફ એટર્ની સંબંધિત પ્રક્રિયામાં બાયોમેટ્રિક ચકાસણી પણ કરાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આક્ષેપો મુજબ, જમીનના દસ્તાવેજોમાં અનેક પ્રકારની ગેરરીતિઓ જોવા મળી છે. મૃતક ખેડૂતની ઉંમર સંબંધિત વિગતોમાં પણ વિસંગતતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર પ્રક્રિયામાં ખોટા દસ્તાવેજો, ભાડૂતી સાક્ષીઓ અને બેંકિંગ વ્યવહારોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મામલો સામે આવ્યા બાદ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે. યુવરાજસિંહ જાડેજાએ રાજ્ય સરકાર, ગૃહ વિભાગ અને સંબંધિત એજન્સીઓને રજૂઆત કરીને સમગ્ર કૌભાંડની તપાસ કરાવી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ ઘટના માત્ર જમીન કૌભાંડ (Gujarat Land Scam) પૂરતી મર્યાદિત નથી, પરંતુ સરકારી ડિજિટલ ઓળખ પ્રણાલી, દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા અને વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. હવે તપાસમાં શું બહાર આવે છે અને જવાબદાર લોકો સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો:અરવલ્લીમાં જમીન કૌભાંડના આક્ષેપ: શિણોલ ગામની ખેડૂતોની જમીનો ખોટા દસ્તાવેજોથી પચાવાઈ હોવાનો દાવો
