વડોદરા,
સાબરકાંઠામાં હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામે બાળકી પર કરાયેલા બળાત્કારની ઘટના બાદ ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો પર થયેલા હુમલાઓમાં નોધપાત્ર વધારો થયો છે. આ હુમલાઓ બાદ હજારોની સંખ્યામાં લોકો ગુજરાત છોડીને પલાયન કરી રહ્યા છે, જેને લઈને ઉદ્યોગો ને પણ અસર પડી રહી છે.
વડોદરામાં ઉદ્યોગોમાં પડી રહેલી આ અસરને જોતા ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ તરફથી કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને માંગણી કરવામાં આવી હતી કે વહીવટી તંત્રને પોલીસ વિભાગ ગુજરાતમાં વસતા દરેક નાગરિક ગુજરાતી છે પરપ્રાંતિય નહિ એવો માહોલ ફરી થી ઉભો કરે.
શું છે આ મામલો ?
મહત્વનું છે કે, સાબરકાંઠાના તાલુકાના ઢુંઢર ગામે ૧૪ મહિનાની એક બાળકી સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો, જેમાં પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, રેપનો આરોપી બિહારનો રહેવાસી ૨૦ વર્ષનો છોકરો છે.
આ માહિતી સામે આવ્યા બાદ જ ગુજરાતભરમાં વસતા બિહાર અને ઉત્તરપ્રદેશના લોકોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે અને ત્યારથી જ આ પરપ્રાંતિય લોકો દ્વારા પલાયન કરવામાં કરવામાં આવી રહ્યું છે. અત્યારસુધીમાં ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો પર થયેલા હુમલાઓ બાદ હજારો લોકો ગુજરાત છોડી ચુક્યા છે અને તેની માઠી અસર ઉદ્યોગો પર પણ પડી છે.