રાજકોટ જિલ્લાના ગોંડલમાં GST વિભાગ દ્વારા સીલ કરેલા મકાનના તાળાં તૂટ્યા હોવાની ઘટના સામે આવી છે. જીએસટી વિભાગ દ્વારા સીલ કરાયેલા મકાનના તાળાં તૂટવાના કારણે ચકચાર મચી જવા પામી છે.
આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરની ગ્રીન સિટી સોસાયટીમાં આવેલ ત્રણ નંબરના મકાનને રાજ્ય સરકારના જીએસટી વિભાગ દ્વારા આજથી ત્રણ મહિના અગાઉ સીલ મારવામાં આવ્યું હતું. આ મકાનને સીલ મારતા અગાઉ જીએસટી વિભાગ દ્વારા મકાનમાંથી કેટલાક દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારના જીએસટી વિભાગ દ્વારા આ મકાનને લેણાંની વસૂલાત અંતર્ગત સીલ મારવામાં આવ્યું હતું. મકાનને સીલ માર્યાના ત્રણ બાદ સીલ મારેલા મકાનના તાળાં તૂટ્યા હતા. આ ઘટના અંગેની જાણ થતાં તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
જીએસટી વિભાગ દ્વારા સીલ મરાયેલા મકાનના તાળું તોડીને તેમાં અંદર ઘૂસવાનો પ્રયાસ કરવા અથવા તો તેમાં રહેલા દસ્તાવેજો કે અન્ય ચીજવસ્તુઓને કબજે કરવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તેમજ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ અચંબામાં મુકાઈ ગયા છે. હવે સવાલ એ છે કે, સીલ કરેલા મકાનના તાળા કોણે તોડ્યા છે અને શા માટે તોડ્યા છે? તે બાબત સમગ્ર ગોંડલ શહેરમાં ચર્ચાનો વિષય બની છે. સરકારી વિભાગ દ્વારા સીલ કરાયેલા મકાનનું તાળું તોડવાની ઘટના અંગે ગોંડલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.