ગુજરાતમાં મંત્રીઓની તબિયત સારી રહે તે માટે મહિસાગરમાં યજ્ઞ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રી પ્રદીપસિંહની તબિયત સારી રહે તે માટે લુણાવાડા નગરદેવ લુણેશ્વર મહાદેવ મંદિરમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો.
નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠક અને SP આ યજ્ઞમાં હાજર રહ્યા હતા. અને બન્નેએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કર્યો હતો. આ સાથે જ બન્નેની તબિયતમાં જલદી સુધારો થાય તેવી પ્રાર્થના કરી છે.
મહત્વનું છે કે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં નીતિન પટેલના બન્ને ઘૂંટણનું ઓપરેશન કરવામાં આવનાર છે. આ સાથે સોમવારે નીતિન પટેલ અમદાવાદ પરત ફરશે. મહત્વનું છે કે, નીતિન પટેલને ઘણા લાંબા સમયથી ઘૂંટણમાં દુ:ખાવાની તકલીફ હતી.
તો બીજી તરફ રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની તબિયત નાદુરસ્ત થતાં તેમને અમદાવાદ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્યના મંત્રીઓની તબિયત સારી રહે તે માટે મહિસાગરમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.