મહેસાણા
મહેસાણામાં રાજપુરથી માલધારી સમાજ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. ગત 25 તારીખે થયેલ ગૌરક્ષક રાજુ રબારીની હત્યાના આરોપીઓને કડક સજા થાય તેવી માંગ સાથે રેલી કાઢવામાં આવી હતી.
રેલીમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના સાધુ,સંતો આગેવાનો અને યુવાનો જોડાયા હતા. રાજપુરથી નંદાસણ પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢવામાં આવી હતી. ગૌરક્ષકોને સુરક્ષા અપાય તેવી માંગ સાથે રેલી નીકળી હતી.
આ રેલીમાં માલધારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. માલધારીઓના ઉગ્ર આંદોલનને અંકુશમાં લાવવા માંટે પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલા સમયથી અલગ અલગ જિલ્લાઓમાં માલધારી સમાજ દ્વારા રેલીઓ કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ અને રાજુ રબારીની હત્યાના મુખ્ય આરોપીઓને પકડવાની માંગ માલઘારી સમાજ દ્વારા કરવામાં આવી હતી.
જો હત્યાના મુખ્ય આરોપીઓની ધરપકડ નહી થાય તો આવનારા સમયમાં ગાંધીનગર સુધી કુચ કરીને સરકારને રજુઆત કરવામાં આવશે .
જોકે હાલ મહેસાણા જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થલ પર પહોંચી ગયો છે. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.