અમદાવાદ: ભાદરવા સુદ ચોથ (ગણેશ ચતુર્થી) 13 સપ્ટેમ્બરને ગુરૂવારનાં રોજ વિઘ્નહર્તા ગણેશજીનાં 11 દિવસનાં વ્રત (ગણેશ ઉત્સવ)નો પ્રારંભ થઇ રહ્યો છે.
આ વર્ષે ગણેશ ચતુર્થી (ગણેશ ઉત્સવ)ના પર્વ દરમિયાન કોઇ તિથિનો વધારો કે કોઈ તિથિનો ક્ષય થતો નથી. જેના કારણે આ વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન પૂરા 11 દિવસ સુધી વિનાયકની પૂજા કરવામાં આવશે.
તા. 13 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર સુધી ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. આ વર્ષે ગુરુવારે બપોરે 12.18થી 1.07 વાગ્યા સુધી અભિજિત મુહૂર્તમાં ગણેશજીની સ્થાપના શ્રેષ્ઠ માનવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે ગણેશજીનો જન્મ અભિજિત મુહૂર્તમાં થયો હોવાથી આ મુહૂર્તમાં ઘેર ઘેર અને સાર્વજનિક ગણેશ પંડાલમાં ગણેશ સ્થાપના કરવી ઉત્તમ માનવામાં આવે છે.
ગણેશ સ્થાપના માટે એકી સંખ્યાનાં દિવસો ઉત્તમ
ગણેશજીની સ્થાપના કેટલા દિવસ સુધી કરવી તે બાબત તેના ભક્તોની આસ્થા અને અનુકૂળતા પર આધાર રાખે છે, પરંતુ સામાન્ય રીતે 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અને 11 દિવસ માટે ભક્તો વિઘ્નહર્તાને પોતાના ઘરમાં બેસાડે છે. ગણેશજીની સ્થાપના માટે એકી સંખ્યાનાં દિવસોને ઉત્તમ માનવામાં આવે છે.
ગુરુવારે ગણેશ સ્થાપના માટેનાં શુભ મુહૂર્ત
ગણેશ ભક્તો દ્વારા પોતાના ઘરે કે સાર્વજનિક પંડાલમાં ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે. આ વખતે તા. ૧૩મીને ગુરુવારે એટલે કે, આવતીકાલે ગણેશજીની સ્થાપના કરવા માટેના શુભ મુહૂર્ત કયારે છે તેની માહિતી અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે.
શુભ- સવારે 6.34થી 8.06 વાગ્યા સુધી
ચલ- સવારે 11.11થી 12.43 વાગ્યા સુધી
લાભ- બપોરે 12.43થી 2.15 વાગ્યા સુધી
અમૃત- બપોરે 2.15થી 3.47 વાગ્યા સુધી
અભિજિત મુહૂર્ત- 12.18થી 1.07 વાગ્યા સુધી
માટીનાં ગણેશની મૂર્તિની પૂજા વધુ ફળદાયી
કુદરતનાં સંરક્ષણ માટે તેમજ આપણાં શાસ્ત્રો અને પુરાણોમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે, ગણદેવ ગણપતિની પૂજા માટે કે કોઇપણ દેવની પૂજા માટે માટીની મૂર્તિ જ બનાવવી જોઇએ. તે માતાજી હોય, શિવલિંગ હોય કે પછી ગજાનંન ગણેશજી કેમ ન હોય. માટીની મૂર્તિની પૂજા કરવામાં આવે તો તે વધુ ફળદાયી નિવડે છે.