અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં કોસ્મેટીક વસ્તુઓનો વેપાર કરતા વેપારીએ પત્ની અને 16 વર્ષની દીકરી સાથે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ ઘટનાની જાણ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
જોકે, પોલીસને એમના ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં વેપારી કુણાલ ત્રિવેદીએ દારૂ પીવાની લત અને કાળી વિદ્યા ના કારણે આવું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સુસાઇડ નોટ હિન્દી ભાષામાં લખવામાં આવી છે. જેમાં કુણાલ ત્રિવેદીએ લખ્યું છે કે મમ્મી આપ મુઝે કભી ભી સમજ હી નહિ પાયે.
કુણાલ ત્રિવેદીએ સુસાઇડ નોટમાં આગળ લખ્યું છે કે હું જીવનમાં કોઈ દિવસ કોઈ પણ ચીજથી ડર્યો નથી. આત્મહત્યા મારી ડિક્ષનરીમાં ક્યારે નહતો.
કુણાલે એમની માતાને ઉદ્દેશીને લખ્યું છે કે મેં ઘણીવાર આપને કાળી શક્તિઓ વિષે જણાવ્યું હતું. પણ આપે ક્યારે પણ એને માની નહિ, અને એને દારૂનું કારણ દર્શાવ્યું. હું કોઈનો પણ કર્જદાર નથી. મેં ક્યારે પણ દારૂ શોખથી નથી પીધો. કાળી વિદ્યાઓએ મારી આ નબળાઈનો ભરપૂર ઉપયોગ કર્યો છે.