ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે ‘સિંહઘર’ અને ‘સોવેનિયર શોપ’ને વનમંત્રી વસાવા મંગળવારે ખુલ્લુ મુકશે
અમદાવાદ: રાજ્યની આન-બાન-શાન ગણી શકાય એવા દેશના ગુજરાતમાં જોવા મળતા એશિયાઇ સિંહને હવે પ્રકૃતિ પ્રેમીઓ ગાંધીનગરમાં માણી શકે એ માટે ઇન્દ્રોડા પાર્ક ખાતે ‘સિંહઘર’ તૈયાર કરવામાં આવ્યું છે. આ ‘સિંહઘર’ને આવતીકાલ તા.૨૭મી નવેમ્બરને મંગળવારના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે વનમંત્રી ગણપત વસાવા ખુલ્લુ મુકશે.
આ વેળાએ રાજ્ય વનમંત્રી રમણ પાટકર પણ ખાસ ઉપસ્થિત રહેશે. વન્યપ્રાણીઓને લગતા સાહિત્યનું પણ યુવા પેઢીમાં આકર્ષણ હોય છે ત્યારે આવી વસ્તુઓના વેચાણ માટે સોવેનિયર શોપ તૈયાર કરાઇ છે જેનું પણ મંત્રી વસાવાના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે વન વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
ગિર ફાઉન્ડેશનના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં રાજ્યની આન-બાન-શાન ગણી શકાય એવા એશિયાઇ સિંહ (નામ-સૂત્રા, વય-૧૦ વર્ષ) અને સિંહણ (નામ-ગ્રીવા, વય-૮વર્ષ)ની એક જોડ રાજ્યના વન વિભાગ દ્વારા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં મુલાકાત લેનાર પ્રવાસીઓને મહત્તમ લાભ આપી શકાય તે હેતુસર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં વધારાનું એક ઘરેણું ઉમેરાયું છે. રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ હેઠળ ગિર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણી સંગ્રહાલયમાં સસ્તન, સરીસૃપ અને વિહંગ કુળના અલગ લગ કુલ ૩૯ પ્રકારના વન્યપ્રાણીઓ-પક્ષીઓ રાખવામાં આવ્યા છે.
હાલમાં પ્રકૃતિ ઉદ્યાનમાં અંદાજે પ્રતિવર્ષ છ લાખ જેટલા મુલાકાતીઓ આવે છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર છેલ્લા ઘણાં વર્ષોથી એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગિર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વન્યપ્રાણીઓને લગતું સાહિત્ય જેવું કે, મેગેઝીનો, પુસ્તકો, સંશોધનપત્રો, નકશાઓ, વન્યપ્રાણીઓને લગતી ફીલ્મોની સી.ડી./ ડી.વી.ડી. વગેરે પ્રકાશીત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત સાસણ ગીર ખાતે વેચાતી આ ચીજો (સોવેનિયર) જેમાં માહિતી પુસ્તિકાઓ, ટી-શર્ટ, જેકેટ, કેપ, કીચેઇન કે જેમાં વન્યપ્રાણીઓનો લોગો પણ છાપેલ હોય તેવી વસ્તુઓનું યુવા પેઢીમાં ખાસ આકર્ષણ હોય છે. તેવી વસ્તુઓના વેચાણ માટે ઇન્દ્રોડા પાર્ક ખાતે સોવેનિયર શોપમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં સિંહોના લાંબાગાળાના સંવર્ધન-સંરક્ષણ માટે રૂ.૩૫૧ કરોડના વિવિધ કામોની લાંબાગાળાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સિંહ દર્શન માટે સફારીપાર્ક બનાવવાનું પણ આયોજન છે. તેના ભાગરૂપે ગાંધીનગર અને આસપાસની પ્રકૃતિપ્રેમી જનતાને પણ સિંહ દર્શનનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.