અમદાવાદ: નવા વર્ષના પ્રારંભ સાથે અમદાવાદ શહેરમાં પ્રેમ પ્રકરણમાં હત્યાનો સિલસિલો સતત બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. અમદાવાદ શહેરના જીવરાજ પાર્ક નજીક આવેલા એક પ્લોટમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ યુવતી રાતે કોઈ યુવક સાથે બાઈક પર નીકળી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે વાસણા પોલીસ દ્વારા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ હત્યા પ્રેમ પ્રકરણમાં કરવામાં આવી છે.
આ હત્યાની ઘટના અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક આવેલા અમન આકાશ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા એક પ્લોટમાંથી હીના નામની એક યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવતીને માથામાં કોઈ બોથડ પદાર્થ વડે હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવતી હીનાએ પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે આમ છતાં પણ તેનું અન્ય વ્યક્તિ સાથે અફેર હોવાના કારણે તેની હત્યાની કરવામાં આવી હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
નવા વર્ષે વસ્ત્રાપુરમાં પણ હત્યાની ઘટના બની હતી
નવા વર્ષની શરૂઆતમાં અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કરવાની ઘટના બની હતી. ગુરુવારે રાત્રીના સમયે આરોપી પ્રેમીએ તેના સાથીઓ સાથે તેની જ પ્રેમિકાના પતિને છરીના ઘા ઝીંકી દઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના એસજી હાઇવે નજીક આવેલ અંબિકા ચોકમાં રહેતા યુવકની પત્નીનો તેના કુટુંબના નજીકના વ્યક્તિ સાથે પ્રેમ સબંધ હતો અને પ્રેમી તેને ભગાડી ગયો હતો. મરનાર યુવકને બે બાળકો હોવાથી તે પત્નીના પ્રેમીને અવાર નવાર ફોન કરીને પોતાની પત્નીને પાછી મૂકી જવા માટે કહેતો હતો.
જ્યારે આરોપી માથાભારે હોવાથી તેને બેસતા વર્ષની રાતે પોતાના પાંચ જેટલા સાથીઓ સાથે આવીને ફોન કેમ કરે છે તેમ કહી છરીના ઘા ઝીંકી દઈને નાસી ગયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. આ અંગે વસ્ત્રાપુર પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.