ગાંધીનગર,
કોંગ્રેસ પાર્ટીથી નારાજ ચાલી રહેલા કુંવરજી બાવળિયાએ પોતાના ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધા બાદ તેઓએ વિધિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો હતો, ત્યારે હવે ખેસ ધારણ કર્યાના માત્ર ૪ કલાકમાં જ તેઓને મંત્રી પદના શપથ લીધા છે.
રાજ્યપાલ ઓ પી કોહલીએ કુંવરજી બાવળિયાને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
બાવળિયાએ કરી શિક્ષણ, કે પાણી પુરવઠા મંત્રી પદની માંગ
જો કે કુંવરજી બાવળિયાએ મંત્રીપદના શપથ લીધા બાદ તેઓને રાજ્ય સરકારમાં કયું મંત્રીપદ આપવામાં આવે છે તેને લઇ હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ તેઓએ શપથ લીધા બાદ જણાવ્યું હતું કે, મને શિક્ષણ, રેવેન્યુ કે પાણી પુરવઠા મંત્રી પદ આપવામાં આવે તો હું કોળી સમાજના લોકોની સેવા કરી શકીશ.
આ સાથે જ ગુજરાત રાજ્યના રાજકારણમાં આ પહેલો બનાવ છે જયારે કોઈ ધારાસભ્યને કોઈ પાર્ટીમાંથી અન્ય પાર્ટીમાં જોડાયા બાદ માત્ર ૪ કલાકમાં જ તેઓને મંત્રી પદ આપવામાં આવ્યું છે. બીજી બાજુ, બાવળિયાને માત્ર ૪ કલાકમાં જ મંત્રીપદ મળ્યા બાદ ભાજપના પહેલેથી જ નારાજ ચાલી રહેલા વરિષ્ઠ ધારાસભ્યોનો અસંતોષ વધુ એકવાર સપાટી પર આવી શકે છે.
આ પહેલા કુંવરજી બાવળિયા કોંગ્રેસ પાર્ટી તરફથી પાંચ વાર ધારાસભ્ય રહી ચુક્યા છે તેમજ હાલ તેઓ જસદણ સીટ પરથી MLA છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવાર સવારે જસદણના MLA અને છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પાર્ટીથી નારાજ ચાલી રહેલા કુંવરજી બાવળિયાએ પોતાના ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને વિધિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો હતો.
પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પાર્ટીના અધ્યક્ષ જીતું વાઘાણીની ઉપસ્થિતમાં તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ કુવરજી બાવળિયાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો,
રાહુલ ગાંધી જાતિવાદનું રાજકારણ રમે છે, જેથી દેશ અને પ્રજાને તેનું મોટું નુકશાન થઇ રહ્યું છે.
કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ વધ્યો છે.
અમારે કામ કરવું હતું પરંતુ મોકો મળતો ન હતો.
જાતિવાદના રાજકારણથી કોંગ્રેસને નુકશાન થઇ રહ્યું છે.
નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે ખુબ સારા પગલા ભર્યા છે અને કામ કર્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ “સૌનો સાથ સૌનો વિકાસ”નો મંત્ર આપીને દેશને વિકાસની રાહ આપી છે.
હું તેઓના કામની ઘણા સમયથી નોંધ લઇ રહ્યો હતો