અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેતા હાર્દિક પટેલના ઉપવાસ છાવણીની વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુલાકાત લીધી હતી. આ પછી તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, આંદોલન કરવા માટે મંજૂરી શા માટે લેવી પડે? સરકાર ડરી ગઈ છે.
ઉપવાસના નવમાં દિવસે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. હાર્દિક પટેલ સાથે મુલાકાત કર્યા પછી પરેશ ધાનાણીએ પત્રકારો અને મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમ્ને જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસને કોંગ્રેસ પક્ષનું સંપૂર્ણપણે સમર્થન છે. ગુજરાત સરકાર જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યમાં આંદોલન કરવા માટે શા માટે મંજૂરી લેવી પડે છે. હાર્દિક પટેલના આંદોલનથી સરકાર ગભરાઈ ગઈ છે, આથી સરકાર હાર્દિકના આંદોલનને કચડવા માટેનો પ્રયાસ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલનાં ઉપવાસનો આજે નવમો દિવસ છે. હાર્દિકના ઘરે રાજ્ય સહિત અન્ય રાજ્યમાંથી પણ નેતાઓ હાર્દિકને મળવા આવી રહ્યાં છે. આજે સવારે બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી જિતનરામ માંઝી હાર્દિકને મળવા આવ્યા હતા. ત્યારબાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ મળવા પહોંચ્યા હતા. બંનેએ સાથે બેસીને વાતચીત પણ કરી હતી.