ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી માટે શનિવારે પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે. 89 બેઠકમાંથી અનેક બેઠક એવી છે કે જ્યાંથી ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, કોંગ્રેસના અગ્રણી નેતા શકિતસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડીયા, પરેશ ધાનાણી વગેરેની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી છે.
શનિવારે સવારે મતદાન કર્યા પછી ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે તેમને જ જનાદેશ મળશે. રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રુપાણી અને તેમનાં પત્ની અંજલિબેન મતદાન કરવા પહોંચ્યા હતાં. મત આપ્યા પછી વિજય રુપાણીએ ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો ભાવનગરમાં મતદાન કર્યા પછી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ દાવો કર્યો હતો કે 2012ની વિધાનસભા ચૂંટણીમાં જેટલી બેઠક ભાજપને મળી હતી તેનાથી વધારે બેઠકો 2017ની ચૂંટણીમાં ભાજપને મળશે.
કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને અર્જૂન મોઢવાડિયાએ પણ મતદાન કર્યા પછી દાવો કર્યો હતો કે ગુજરાતમાં સત્તા પરિવર્તન આવી રહ્યું છે અને કોંગ્રેસ તરફી મતદાન થશે. તેમજ કોંગ્રસના રાજયસભાના સાંસદ અહેમદ પટેલે પણ કોંગ્રેસ 110 સીટ જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે ૧૮રમાંથી ૮૯ બેઠકો માટે ર.૧ર કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. આ બેઠકો પર મુખ્યમંત્રી રૂપાણી સહિત ૯૭૭ ઉમેદવારો મેદાનમાં છે. પ૦૧ર૮ મતદાન બુથો ઉપર વીવીપેટ હેઠળ થશે મતદાન થઈ રહ્યું છે.