અમદાવાદ: ગુજરાતની જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત આજે કોંગ્રેસના અવસર નાકિયા ઉપરાંત સાત અપક્ષ સહીત કુલ દસ જણાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈને સીધું કેબિનેટ મંત્રીનું પદ મેળવનાર કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. જેના કારણે જસદણ વિધાનસભાની બેઠક ખાલી પડી છે.
આ ખાલી પડેલી જસદણ વિધાનસભા બેઠકની આગામી તા. 20 ડિસેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે. આ પેટા ચૂંટણી સંદર્ભે તા. 26 નવેમ્બરના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આ પ્રક્રિયા અંતર્ગત તા. 3 ડિસેમ્બરને સોમવારના રોજ વધુ દસ ઉમેદવારો તરફથી પોતાની ઉમેદવારી નોંધાવવામાં આવી છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાનો પણ સમાવેશ થાય છે.
આજે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે અવસરભાઈ કાનજીભાઈ નાકિયા દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. જયારે તેમના ડમી ઉમેદવાર તરીકે કોંગ્રેસના જ વાસાણી નાથાભાઈ કુરજીભાઈએ ઉમેદવારી પત્રક ભર્યું હતું.
આ ઉપરાંત ગુજરાત જનચેતના પાર્ટીના ઉમેદવાર તરીકે ઝાપડિયા વાલજીભાઈ મેઘજીભાઈએ ઉમેદવારી નોંધાવી હતી.
જયારે સાત અપક્ષ ઉમેદવારોએ પણ ઉમેદવારી પત્રક ભર્યા હતા. જેમાં રોજાસરા રસિક સોમાભાઈ, બોઘરા જીગ્નેશભાઈ વસંતભાઈ, ભેંસજાળિયા મુકેશભાઈ મોહનભાઈ, ખેતરિયા મનસુખભાઈ જેઠાભાઈ, મંડીર પંકજભાઈ દિલીપભાઈ, રોજસરા પ્રવીણભાઈ જાગાભાઈ અને માધુ નિરૂપાબેન નટવરલાલનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજ દિન સુધીમાં કુલ 19 (ઓગણીસ) ઉમેદવારો તરફથી ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ 6-12-2018 ગુરુવારના રોજ રાખવામાં આવી છે.