અમદાવાદ: અમદાવાદ, ગાંધીનગર પછી હવે BJP દ્વારા સુરત ખાતે પ્રદેશ કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત રક્ષાબંધનના પૂર્વે આગામી તા. 24 અને 25 ઓગષ્ટનાં રોજ સુરતમાં પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે. આ પ્રદેશ કારોબારીમાં ગુજરાતનાં પ્રભારી અને સહ્પ્રભારીઓ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત કેબિનેટના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, પદાધિકારીઓ તેમજ અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહેશે.
સુરત ખાતે મળનારી પ્રદેશ ભાજપની કારોબારીની બેઠકમાં આગામી વર્ષ 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી સંદર્ભે ચર્ચા કરવામાં આવશે. ભાજપ દ્વારા સમગ્ર દેશમાં ‘મિસકોલ કરો અને ભાજપમાં જોડાવ’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને લઇને તાજેતરમાં સુરત ખાતે એક ખાસ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
મહત્વની વાત એ છે કે, આગામી 2019ની લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સુરત ખાતે મળનારી આ બેઠક પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં યોજાશે.
આ બેઠકમાં વર્ષ 2019માં યોજનારી લોકસભાની આગામી ચૂંટણી વિશે વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૧૮-૧૯ ઓગષ્ટનાં રોજ ભાજપની રાષ્ટ્રીય કારોબારી યોજવામાં આવનાર છે.
રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાયા પછી આગામી તારીખ ૨૪ અને ૨૫ ઓગષ્ટના રોજ સુરત ખાતે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક યોજાશે.
આ બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો, પ્રદેશના હોદ્દેદારો, પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખો, મહાનગર પ્રમુખો સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.