ભાદર નદીમાં ઠાલવવામાં આવતા દુષિત પાણી મામલે જેતપુરના ધારાસભ્ય લલિત વસોયા આજે જળ સમાધી લેશે. ધારાસભ્ય લલિત વસોયાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, તેમનો કાર્યક્રમ ચાલુ જ રહેશે.
જો તેમને અટકાવવામાં આવશે તો પણ તેઓ જળસમાધિ લેશે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ભાદર નદીનું પાણી મનુષ્યો તો ઠીક પશુઓને પણ પીવાલાયક નથી.
જળસમાધિ લે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી
ધોરાજીના ભૂખી ગામ ખાતે જળસમાધિની જીદ લઈને બેઠેલા લલિત વસોયાએ હાજર લોકોને સંબંધોન કરીને જળસમાધિ લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ જળસમાધિ લે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. આ દરમિયાન ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
જળ સમાધીની ચિમકીના પગલે ચાંપતો પોલીસ બંદોબસ્ત.
ધોરાજીના ભાદર ડેમ-2માં પ્રદૂષીત પાણી મામલે ધારાસભ્ય વસોયાની જળ સમાધીની ચિમકીના પગલે પોલીસ તંત્ર દ્વારા ભૂખી ગામે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ભાદર નદીમાં ઠલવાતા જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમીકલવાળા પ્રદૂષિત પાણી મામલે ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ લોકલડત શરૂ કરી છે.
ભાદર જૂથ યોજના બની ત્યાર બાદ અહીં આસપાસના 52 જેટલા ગામમાં લોકોને ચામડી, કેન્સર અને કિડનીના રોગોનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદથી આવેલી મેડિકલની ટીમે પણ રિપોર્ટ આપ્યો હતો કે ધોરાજીના તાલુકાઓમાં આ પાણી પીવાથી ચામડીના રોગોનું પ્રમાણ વધ્યું છે. એક એક ગામમાં ચામડીના રોગથી પીડાતા 50થી વધારો લોકો છે. આ પાણી પશુઓને પણ પીવાલાયક નથી.