અમદાવાદ: સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરના રેલવે સ્ટેશનનું રૂા.12 કરોડના ખર્ચે થનાર સૌંદર્યકરણ (બ્યુટિફિકેશન) અને આધુનિકરણના કામોનું ભૂમિપૂજન સાંસદ મોહન કુંડારિયાના હસ્તે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.1 ખાતે કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્રની મધ્યમાં આવેલા અને પાટનગર તરીકે જાણીતા રાજકોટ શહેરમાં રેલવે સ્ટેશન શહેરના સર્વાંગી વિકાસ માટે ચાવીરૂપ ભૂમિકા નિભાવે છે, કારણ કે, રાજકોટ રેલવે સ્ટેશનેથી ભારતભરમાં જવાની ટ્રેનો મળી શકે છે.
રાજકોટ રેલવે સ્ટેશનને 12 કરોડના ખર્ચે આધુનિક અને સુવિધા સભર બનાવવા માટે શનિવારે સાંસદ મોહનભાઇ કુંડારિયાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ અંગે જણાવાયું હતું કે, રાજકોટ રેલવે સ્ટેશન નો જે પુન:વિકાસ કરવાનો છે, તેમાં સ્ટેશનના પાર્કિંગને મોટી જગ્યા ફાળવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ હાલ જે વેઇટિંગ હોલ, રેસ્ટ રૂમ, રિટાયરિંગ રૂમ, ટોઇલેટ, પાણીના પરબ સહિતની સુવિધાને વધુ સુવિધાસભર બનાવાશે.
આ સાથે સાથે સ્ટેશન પર એક એક્ઝિકયૂટિવ લોન્જ પણ બનાવાશે. જેમાં ખાણીપીણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્લેટફોર્મ પર કોટા સ્ટોનને બદલે ગ્રેનાઇટ સ્ટોન લગાડવામાં આવશે. સ્ટેશનની સુરક્ષાને ધ્યાને રાખી શંકાસ્પદ લોકોની અવરજવરને રોકવા માટે દીવાલ તેમજ ફેન્સિંગ બનાવવામાં આવશે, તેમજ સ્ટેશન પર શું શું સુવિધાઓ છે તે અંગેની જાણકારીના બોર્ડ પણ લગાડવામાં આવશે.
આ ઉપરાંત સમગ્ર રેલવે સ્ટેશન પર એલઇડી લાઇટો લગાડવામાં આવશે. એટલું જ નહીં પ્લેટફોર્મ પર એક સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન રાજકોટ ડિવિઝનના ડીઆરએમ પી.બી.નિનાવે, સિનિયર ડીસીએમ શ્રીવાસ્તવ સહિતના વિભાગીય વડાઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ રેલવે સ્ટેશન ઉપર એસ્કેલેટર્સ, વધારાની લિફટ સહિતનાકામો હાથ ધરાયા છે. હવે રેલવે સ્ટેશન ખાતે હાલની પાર્કિંગ સુવિધા, વેઈટિંગ રૂમ, લોન્જ, સ્ટેશનનો સુંદર બાહરી દેખાવ, આકર્ષક ગેટ, પ્લોટફોર્મ ઉપર યાત્રી સુવિધાઓમાં વધારો કરવા સહિતના કામો રૂ.12 કરોડના ખર્ચે કરીને રાજકોટ રેલવે સ્ટેશનનો નવો આકર્ષક લૂક આપી આકર્ષક બનાવવામાં આવનાર છે.