રાજકોટ,
તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા રાજ્યમાં ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા યોજવામાં આવી રહી છે. મંગળવારના રોજ લેવામાં આવેલું ગણિતના વિષયનું પેપર છેલ્લા ૨૦ વર્ષમાં સૌથી અઘરું હોવાનું તેમજ રાજ્યમાં સીબીએસઈ ઘુસાડવાનો કારસો લેવામાં આવી રહી હોય એવા આક્ષેપ સામે આવ્યા હતા. ત્યારે હવે આ મામલે ગુજરાત માધ્યમિક બોર્ડમાં સદસ્ય પ્રિયવદન કોરાટ અને નિદત બારોટે હવે ધો. ૧૦નું ગણિતનું પેપર ફરીથી લેવા માટે માંગ કરી છે.
ગુજરાત માધ્યમિક બોર્ડમાં સદસ્યો દ્વારા પાઠવવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, “ગુજરાતમાં આ વર્ષે અંદાજે ૧૪ લાખ ધો.૧૦ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. મંગળવારના રોજ ગણિતના વિષયની જે પરીક્ષા લેવામાં આવી છે એમાં બ્લુપ્રિન્ટ બહારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ગઈકાલે લેવાયેલા ગણિતના વિષયની પરીક્ષામાં પ્રથમ દર્શીય રીતે પેપર સેટરની ગંભીર ભૂલ જણાઈ રહી છે. વિદ્યાર્થીઓએ બ્લુપ્રિન્ટના આધારે પ્રશ્નપત્ર પૂછાય એ અપેક્ષિત હોય છે. વિદ્યાર્થીઓએ સમગ્ર વર્ષ દરમિયાન આ બ્લુપ્રિન્ટના આધારે જ કયા પ્રકરણમાંથી કયા દાખલાઓ પૂછાશે તે જ પ્રમાણે પરીક્ષાની તૈયારી કરી હોય છે”.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “બોર્ડની જવાબદારી હોય છે કે, વિદ્યાર્થીઓને જે પ્રમાણે શાળાઓ દ્વારા માર્ગદર્શન અપાયું હોય છે તેને અનુરૂપ મૂલ્યાંકન માટે પ્રશ્નપત્ર તૈયાર થતું હોય છે. આ પ્રશ્નપત્ર તૈયાર કરવા માટે મુખ્ય સિધ્ધાંત એ હોય છે કે પ્રશ્નપત્રનો ક્રમ સરળતાથી કઠિન તરફ હોવો જોઈએ. જેથી વિદ્યાર્થી જયારે પરીક્ષા આપે ત્યારે પૂર્ણ વિશ્વાસથી એક્ઝામ આપી શકે. પરંતુ આ વખતના ગણિતના પેપરમાં આનાથી તદ્દન વિપરીત વ્યવસ્થા જોવા મળી. સમગ્ર બ્લુપ્રિન્ટમાં કોઈ ધારા ધોરણ જળવાય નથી. આ પેપરમાં પ્રકરણ પ્રમાણે પ્રશ્નનો કોઈ જ ગુણભાર જળવાયો નથી'”.
“નાના બાળકોના માનસ પર અત્યંત વિપરીત અસર પડ્યા બાદ તેઓ આગળના સરળ મુદ્દાઓ પણ લખી શક્યા નથી તેની વ્યાપક ફરિયાદ અનેક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કરી છે. વિદ્યાર્થીઓ માટે આ અત્યંત મહત્વનું વર્ષ હોય ત્યારે બોર્ડ તરફથી થયેલી ભૂલ ગંભીરતાથી લેવી જોઈએ અને તાત્કાલિક અસરથી વિષય નિષ્ણાંતોનો અભિગ્મ મેળવી હાલમાં લેવાયેલી ગણિતના વિષયની પરીક્ષા જરૂર પડ્યે તો રદ કરી ફરીથી લેવી જોઈએ. માત્ર ગ્રેસિંગ કરી દેવાથી વિદ્યાર્થીઓને ન્યાય મળશે નહીં”.
મહત્વનું છે કે, મંગળવારે ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવેલી ગણિતના વિષયની પરીક્ષામાં ખૂબ અઘરું પ્રશ્નપત્ર કાઢવામાં આવ્યું હતું. પરીક્ષા બાદ જણાવવામાં આવ્યું હતું કે, SSC નું ગણિતનું પેપર ૨૦ વર્ષના ઇતિહાસમાં સૌથી અઘરું હોવાનો તેમજ CBSE માંથી બેઠું જ ઉઠાવવાના આરોપો સામે આવ્યા હતા.