સુરતમાં 5 દિવસ પહેલા ગુમ થયેલા વૃદ્ધની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે અને સૌથી ચોંકાવનારી હકીકત એ સામે આવી છે કે વૃદ્ધની હત્યા ખુદ તેમના પુત્રએ જ કરાવી હતી.
સુરતના અલથાણ ગામની શૃંગલ રેસિડેન્સીમાં રહેતા 70 વર્ષીય પ્રહલાદભાઇ ત્રિભોવનદાસ પટેલ ગઇ 14મી તારીખે કીમ ખાતે મશીન લેવા ગયા બાદ ઘરે પરત આવ્યા ન હતા. પિતા ગુમ થતા તેમના પુત્ર જીતેશે પાંડેસરા પોલીસને જાણ કરી હતી.
પોલીસે પ્રહલ્લાદભાઈના ગુમ થયાની તપાસ કરતા માની ના શકાય તેવી હકીકત સામે આવી હતી.પ્રહલ્લાદભાઈની હત્યા ખુદ તેમના પુત્ર જીતેશે કરાવી હતી.વધુ ચોંકાવનારી વાત એ હતી કે હત્યા બાદ વૃદ્ધને જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા.
પોલીસે જીતેશની અટકાયત કરી તો તેમાં આ હત્યાનો ભેદ ખુલ્યો હતો.જીતેશને પોતાના પરિવારમાં અને ધંધામાં પિતા સાથે વાંરવાર ઝઘડો થતો હતો.પિતા સાથે ઝગડાથી ત્રાસેલા જીતેશે ચાની લારી ચલાવતા સંજય તુકારામ અને સલીમ હજરત શેખન તેમની હત્યાની 10 લાખની સોપારી આપી હતી. બાદમાં ભાડાના કારખાનામાં હત્યા કરી લાશને ભાઠેના વિસ્તારમાં દાટી દીધી હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચને મળી હતી.
પ્રહલ્લાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જિતેશને શોધી કાઢ્યો હતો અને તેની આકરી પૂછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. તેની કબૂલાતના આધારે પોલીસે ભાઠેના વિસ્તારમાં જઈ વૃદ્ધની લાશ જમીનમાંથી બહાર કાઢી હતી.
પોલીસના કહેવા પ્રમાણે સંજય અને સલીમ કારખાનામાં પહેલેથી હાજર હતા.સલીમ શેખે પાવડાના સાતેક ઘા ઝીંકી હત્યા કરી હતી.બાદમાં તે જ સાંજે જીતેશ પણ ત્યાં ગયો હતો અને લાશને જમીનમાં દાટી દીધી હતી. ક્રાઈમ બ્રાંચે આરોપીઓને ઝડપી લઈને પાંડેસરા પોલીસને સોંપી દઈ વધુ તપાસ હાથ ધરી છે.