રાષ્ટ્રની એકતા અને અખંડતાના શિલ્પી-વિરાટ પ્રતિભા સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટતમ પ્રતિમા-સ્ટેચ્યૂ ઓફ યુનિટી તા. 31મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મજયંતીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને અર્પણ થશે.
નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સવારે 9:30 કલાકે એક ભારત-શ્રેષ્ઠ ભારતના પુરસ્કર્તા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અખંડ ભારતની વૈશ્વિક ઓળખસમી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા રાષ્ટ્રને અર્પણ કરશે ત્યારે રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત હશે.
કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિધિવત રાષ્ટ્રાર્પણ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી – સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટતમ પ્રતિમાના ચરણોમાં દીપ પ્રાગટય કરશે. આ ઐતિહાસિક પળે વેદોક્ત ગણેશ મંત્ર અને સ્વસ્તિ વાચન તથા નર્મદા મંત્રના ગાન સાથે જલાભિષેક કરાશે, અને રાષ્ટ્રાર્પણનો સંકલ્પ કરાશે.
ભારતની એકતા, અખંડતા અને રાષ્ટ્રભક્તિનો સમગ્ર વિશ્વને સાક્ષાત્કાર કરાવનારું સરદાર વલ્લભભાઈ પટેલનું આ સ્ટેચ્યૂ અખંડ ભારતની વૈશ્વિક ઓળખ બનશે. આ ઐતિહાસિક પળે ભારતભૂમિના પનોતાપુત્રનું ગૌરવ ગાન કરવાનો આ અનેરો અવસર ગુજરાતના આંગણે આવ્યો છે.