રાજકોટ: રાજકોટ ખાતે મળેલી સોમાની વાર્ષિક સામાન્ય સભામાં કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ ભાંગરો વાટ્યો હતો. કૃષિ મંત્રી તરીકે પોતે જવાબ આપવાના બદલે મીડિયાને સવાલ કર્યા હતા. જેના કારણે લાગ્યું હતું કે તેઓ તૈયારી વગર આવ્યા હતા.
રાજકોટ ખાતે આજે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશન (SOMA) ની 69મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી. જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને સાંસદ મોહન કુંડારીયા બેઠકમાં હાજર રહ્યાં હતાં. આ સમયે કૃષિમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ મીડિયાએ પૂછેલા સવાલ પર ભાંગરો વાટ્યો હતો.
સોમાની વાર્ષિક સામાન્ય સભાનું કવરેજ કરવા આવેલા મીડિયાકર્મીઓએ કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાને સવાલ કર્યો હતો કે, આ વર્ષે મગફળીનું કેટલું ઉત્પાદન થશે? જેના જવાબમાં કેન્દ્રીય કૃષિ મંત્રી રૂપાલાએ કહ્યું હતું કે, મને ખબર નથી. એટલું જ નહિ, તેમણે પત્રકારોને સામે સવાલ કર્યો હતો કે, તમારે મને કહેવું જોઇએ કેટલું ઉત્પાદન આવે છે, તમે કહો કેટલું ઉત્પાદન આવવાનું છે? આવા સવાલો કરવા હોય તો તમને બધાને નમસ્કાર.
કેન્દ્રીય રાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ એ પણ જણાવ્યું હતું કે, ‘આ વર્ષે ભાવાંતર યોજના પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવશે. જો કે, સમગ્ર રાજ્યમાં તેનું અમલીકરણ હાલ કરવામાં આવશે નહીં.’
સોમાની વાર્ષિક સામાન્ય સભામાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ પત્રકારોને તમે કહો મગફળીનું કેટલું ઉત્પાદન થશે? તેવું પૂછવું પડે તે બાબત તેમના જેવા સિનિયર અને વાક્ચાતુર્ય ધરાવતા વ્યક્તિ માટે નાલેશી ભર્યું કહી શકાય.
31 ઓક્ટોબરથી ભાવાંતર યોજના શરુ ન થાય તો યાર્ડમાં હડતાલ: કમિશન એજન્ટ
આ દરમિયાનમાં રાજકોટ માર્કેટ યાર્ડના કમિશન એજન્ટના પ્રમુખ દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે, ’31 ઓકટોબર સુધીમાં ભાવાંતર યોજના શરૂ નહીં થાય તો માર્કેટ યાર્ડમાં હડતાળ પાડવામાં આવશે. અને આગામી તા. 1 નવેમ્બરથી યાર્ડ બંધ રાખવામાં આવશે.’