જેતપુરના યુવાને આજે બપોરના સમયે કામ પરથી પરત ફરતી વેળાએ ભાદરના પુલ પરથી છલાંગ લગાવી લેતા મોત નીપજ્યું હતું. અહીંના ગુજરાતી વાડી વિસ્તારમાં રહેતો સોહિલ રાજુભાઈ નામનો 19 વર્ષીય યુવાન બપોરે સાડીના કારખાનામાં કામ પરથી પરત આવી રહ્યો હતો. ત્યારે રસ્તા પર આવતા ભાદરના પુલ પાસે પોતાનું મોટરસાઇકલ ચાલુ રાખી અચાનક 50 ફૂટના ઊંડાઈવાળી નદીમાં છલાંગ લગાવી હતી.
છલાંગ લાગતા આ રસ્તા પરથી પસાર થતા અન્ય લોકો પણ અશ્ચર્યમાં પડી ગયા હતા કે, ચાલુ મોટરસાઇકલ નીકળેલ યુવાને અચાનક આ શું કર્યું અને નીચે પટકાયા બાદ બહાર કાંઠે રહેતા લોકો તેને તાત્કાલિક અહીંની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.
પરંતુ હોસ્પિટલે પહોંચતા જ તેનું મોત નીપજ્યું હતું. પરિવારમાંથી જાણવા મળતી વિગત મુજબ તેના પિતા છેલ્લા કેટલા દિવસોથી ઘર છોડી ચાલ્યા ગયા છે. અને પરિવારમાં માતા તેમજ સોહિલનો નાનો ભાઈ છે. અચાનક બનેલા આ બનાવથી માતાએ આક્રંદ કર્યું હતું. પોલીસે આ બનાવ પાછળ શું કારણ હોઈ શકે તે દિશામાં તપાસ હાથ ધરી છે.