ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે પાંચમાંથી પાંચ મેચ જીતી છે. પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા પહેલા સ્થાન પર છે. તેમણે તેની આગામી મેચ રવિવારે (29 ઓક્ટોબર) ઈંગ્લેન્ડ સામે રમવાની છે. જે બાદ ટીમ 2 નવેમ્બરે શ્રીલંકા અને 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે રમશે. ભારત માટે ચિંતાનો વિષય એ છે કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હજુ સુધી ફિટ નથી અને તે આગામી કેટલીક મેચોમાં રમશે તે અંગે શંકા છે.
19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામે બોલિંગ કરતી વખતે હાર્દિક પંડ્યા બોલના ફોલો-અપમાં સરકી ગયો હતો અને 22 ઓક્ટોબરે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં રમી શક્યો નહોતો. હાર્દિકે સોમવારે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ને ઈજાના સંચાલન માટે જાણ કરી હતી. હવે તે ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સામેની મેચોથી દૂર રહે તેવી શક્યતા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, હાર્દિકના પગની ઘૂંટીમાં ગ્રેડ 1 લિગામેન્ટ ટીયર છે. સોજો ઘણો વધી ગયો છે અને તેના કારણે તેમને દુ:ખાવો પણ થઈ રહ્યો છે. જોકે, સારી વાત એ છે કે હાર્દિકને કોઈ ફ્રેક્ચર થયું નથી. NCA અધિકારીના જણાવ્યા અનુસાર પંડ્યાની ઈજા ગંભીર હોઈ શકે છે. એનસીએમાં નીતિન પટેલના નેતૃત્વ હેઠળની મેડિકલ ટીમ તેમના પર નજર રાખી રહી છે. હાર્દિકને સાજા થવામાં બે સપ્તાહનો સમય લાગી શકે છે. તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે પછી જ NCA તેને મુક્ત કરશે.
ભારતીય ટીમ મેનેજમેન્ટને એનસીએની મેડિકલ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ તેને જલ્દી મેદાન પર પાછા ફરવાની આશા રાખે છે. હાલ ટીમ હાર્દિકના સ્થાને અન્ય કોઈ ખેલાડીને ટીમમાં સામેલ કરવાનું વિચારી રહી નથી. કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ તેની રાહ જોઈ રહ્યા છે.
ભારતીય ટીમ બુધવારે લખનૌ પહોંચી હતી અને ગુરુવારથી ટ્રેનિંગ કરશે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સામેની આગામી બે મેચ માટે પણ હાર્દિકની ઉપલબ્ધતા શંકાસ્પદ છે. હાર્દિકનું શરીર તેની સમગ્ર કારકિર્દી દરમિયાન ઈજાઓથી ઘેરાયેલું રહ્યું છે.
આ પણ વાંચો: PM Modi Visit/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા શિરડી, સાંઈબાબાના મંદિરમાં કરી પૂજા અર્ચના
આ પણ વાંચો: અવસાન/ પંચમહાલના દિગ્ગજ નેતા પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષની વયે નિધન
આ પણ વાંચો: Crime/ બિહારમાં સગા ભત્રીજાની કાકીએ હત્યા કરતા સનસનાટી મચી