તાઉતે વાવાઝોડાની આંશિક અસર તળે સમગ્ર કચ્છમાં ભારે પવન ફૂંકાયો હતો જેના પગલે કચ્છના અમુક ગામોમાં બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યુ છે ખાસ તો કેસર કેરીના પાકને 30 થી 50 ટકા નુકશાની થઈ છે.
કચ્છની કેસર કેરી જગવિખ્યાત છે જોકે વાવાઝોડાની અસર તળે કેરીનો પાક ખરી પડતા જિલ્લામાં આ વખતે કેરીની અછત જોવા મળશે. ગીર અને તલાલાની કેરીને તો વ્યાપક નુકશાની થઈ છે આ તરફ કચ્છમાં પણ કેસર કેરીના પાકને નુકશાની થઈ છે ભુજ તાલુકાના કોટડા ચકાર, અંજારમાં ખેડોઈ, માંડવી તાલુકામાં ગઢશીશા સહિતના વિસ્તારોમાં ભારે પવનને કારણે કચ્છી કેરીનો પાક ખરી પડ્યો હતો.
કાચી કેરીઓ ખરી પડતા બજારમાં ભાવ લેવા ખેડૂતને મુશ્કેલ બન્યા છે કેરી ઉપરાંત જાંબુ, ખારેક ,દાડમ સહિતનક બાગાયતી પાકોને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારે મગ, તલ, બાજરી, એરંડા જેવા ઉભા પાકને પવનથી નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. કેસર કેરીનો પાક કચ્છમાં સારો એવો થયો હતો. ત્યારે એક મહિનાની અંદર કેરીનું વેચાણ અને પાક વધારે ઉતર્યો હોત તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. પરંતુ વાવાઝોડાની અસરના પગલે ભારે પવન ફૂંકાયો હોવાથી કેરીને નુકસાન પહોંચ્યું હતું.
વરસાદના છાંટા પડે તો પણ કેરીને નુકસાન પહોંચે છે અને જીવાત થઈ જાય છે.જેથી નુકસાન વેઠવાનો વારો આવતા આ વર્ષે પણ ખેડૂતો અને વેપારીઓની હાલત કફોડી થઈ છે.કચ્છની કેસર કેરીની રાહ જિલ્લા ઉપરાંત દેશ વિદેશમાં પણ જોવાતી હોય છે. પરંતુ વાવાઝોડાની અસરના કારણે હવે માલ બજારમાં ઓછો આવશે અને ભાવ પણ ઊંચા જોવા મળશે. ભારે પવનથી આંબાના વૃક્ષો નીચે હજારો કિલો માલ ખરેલો જોવા મળ્યો હતો.
નુકસાનની વિગતો આપતા ખેડૂતોએ જણાવ્યું હતું કે વાવાઝોડાના પગલે જે કેરીઓ ખરી છે. તેની બજારમાં 2 રૂપિયા પણ કિંમત નહીં આવે. તથા ગામોમાં ભારે પવનના કારણે અંદાજિત ૨૫ ટકા કેસર કેરીના પાકને નુક્સાન પહોંચ્યું છે. કોટડા ચકાર ગામમાં 5000થી વધારે કેરીના વૃક્ષો છે જેમાથી 25%થી 40% વૃક્ષોમાં વાવાઝોડાના લીધે ફૂંકાયેલા પવનમાં ભારે નુકસાની થઈ હતી.જેના લીધે ખેડૂતોને ભારે નુકસાની પહોંચી છે.
એક તો કોરોના ના કારણે ખેડૂતોને પાકના ભાવોમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ઉપરથી આ વાવાઝોડાને લીધે પાકમાં પણ ઘણું નુકસાન થયું છે માટે ખેડૂતોએ વાવાઝોડાને લીધે કેરીના પાકને જે નુકસાન થયું છે તે અંગે યોગ્ય વળતર મળે તેવી સરકાર પાસે માંગણી કરી છે.