અમદાવાદ.
હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થવાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યનાં કેટલાક ભાગોમાં આજે સવાર દરમિયાન ઝરમર-ઝરમર તો કેટલાક છવાયાં ભાગોમાં ભારે વરસાદનાં ઝાપટા પડ્યા હતા. જેને લઈને ખેડુતો અને સામાન્ય લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આજે વહેલી સવારે પણ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી છાંટા પડતા વાતાવરણ અહલાદક બની ગયુ હતું.
અમદાવાદ શહેરમાં વરસાદની રમઝટની જો વાત કરવામાં આવે તો શહેરના એસ.જી હાઈવે, જુહાપુરા, વેજલપુર, જીવરાજપાર્ક અને પ્રહલાદનગરમાં વરસાદ મનમુકીને વરસ્યો હતો. બપોર પછી ધીમે-ધીમે વરસાદ પાડવાનું શરુ થયું હતું અને સાંજના લગભગ છ વાગ્યા સુધી અમુક વિસ્તારમાં ભારે જયારે અમુક વિસ્તારમાં અમીછાંટણા થયા હતા. અમદાવાદમાં વરસાદ થવાથી માહોલ ઠંડો અને ભેજ ધરાવતો થયો છે.
વરસાદના પગલે શુક્રવારે ઉપરવાસમાંથી 32,536 ક્યુસેક પાણીની આવક થઈ હતી. 24 કલાકમાં ડેમની સપાટીમાં 1 મીટરનો વધારો થયો છો. ડેમની સપાટી ગઈકાલે 118.39 મીટરે હતી. જે વધીને આજે 118.83 મીટરે પહોંચી છે.
ગત મોડી સાંજે આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાત પર મેઘરાજાની મેઘમહેર થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ૨૭ અને ૨૮મીના રોજ ગુજરાત ઉપર ચોમાસુ ફરી સક્રિય બનશે. રાજ્યમાં પુનઃવરસાદી વાતાવરણ જામે તેવી શક્યતા છે. આ અંગે વધુ એક સિસ્ટમ સક્રિય થઈ હોવાનુ હવામાન વિભાગે જણાવ્યુ છે. શ્રાવણના સરવરીયા હોય એ સાંભળ્યુ છે પરંતુ મોસમના બદલાતા સમીકરણોને ધ્યાનમાં રાખતા શ્રાવણ મુશળાધાર બને તો નવાઈ નહીં.
અન્ય જગ્યાઓની વાત કરવામાં આવે તો આવતા 4 દિવસોમાં સરદાર સરોવર ડેમની સપાટી 121.92 મીટરે પહોંચશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ડેમમાં નવા પાણીની આવક થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં વધુ એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ૨૭ અને ૨૮મીના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ બે દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.