વિશ્વકપ 2011માં ભારત તરફથી યુવરાજ સિંહે ખાસ ભૂમિકા નિભાવી હતી. ભારત વિશ્વકપ 2011 જીતી શકી તેની પાછળ સૌથી મોટો ફાળો યુવરાજ સિંહનો રહ્યો છે. જો કે આ વિશ્વકપમાં તેનુ સ્થાન પાક્કુ કરવામાં તે અસફળ રહ્યો હતો. ત્યારે સવાલ ઉભો થાય કે શું આ વિશ્વકપમાં ભારતની ટીમમાં કોઇ ખેલાડી છે કે જે તેનુ સ્થાન લઇ શકે છે. આ મુદ્દે ઓસ્ટ્રેલિયાનાં મહાન બોલર્સ ગ્લેન મેકગ્રાએ એક મોટુ નિવેદન આપ્યુ છે.
ઓસ્ટ્રેલિયાનાં ફાસ્ટ બોલર રહી ચુકેલા ગ્લેન મેકગ્રાએ ટીમ ઈંન્ડિયાનાં વિશ્વકપ 2011નાં સ્ટાર ખેલાડી યુવરાજ સિંહનાં આ વિશ્વકપમાં ન રમવા પર તેની જગ્યા હાર્દિક પંડ્યા લઇ શકે તેવુ નિવેદન આપ્યુ છે. મેકગ્રાએ સોમવારનાં રોજ કહ્યું કે, હાલની આઇસીસી વિશ્વકપમાં હાર્દિક પંડ્યા ભારત માટે એ ભૂમિકા નિભાવી શકે છે જેવી 2011નાં વિશ્વકપમાં યુવરાજ સિંહે નિભાવી હતી.
યુવરાજે 2011માં બોલ અને બેટ બંન્નેથી યોગદાન આપતા બીજી વખત ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવામાં અગત્યની ભૂમિકા નિભાવી હતી અને તે ટૂર્નામેન્ટમાં મેન ઓફ ધ સીરીઝ પણ રહ્યો હતો. મૈકગ્રાને જ્યારે આ અંગે વદુ પુછવામાં આવ્યું કે શું ભારતીય ટીમને યુવરાજ સિંહની કમી લાગશે જેમણે 2011માં સફળતાપૂર્વક ફિનિશરની ભૂમિકા નિભાવી હતી ત્યારે મૈકગ્રા એ કહ્યું કે, પંડ્યા એ ભૂમિકા નિભાવી શકે છે. ડીકે (દિનેશ કાર્તિક) પણ સારો ફિનિશર છે. મને લાગે છે કે તેમની પાસે એવી ટીમ છે જે સારૂ પ્રદર્શન કરી શકે છે.
ઓસ્ટ્રેલિયાનાં આ પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું કે, ભારતનાં બોલીંગ આક્રમણની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ તાજતરમાં વનડે ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ બોલર્સ છે. જે અંતિમ ઓવરમાં વધુ સારી બોલિંગ કરે છે. તેમની પાસે એવી ટીમ છે જે વિશ્વ કપમાં સારૂ કરી શકે છે. એ જોવાનું રહેશે કે ઈંગ્લેન્ડની સ્થિતિમાં તે કેવું રમે છે.
આપને જણાવી દઇએ કે, પંડ્યાએ તાજેતરમાં આઇપીએલ સીરીઝમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેમણે બોલ અને બેટ બંનેથી વિરોધીઓમાં દહેશત ઉભી કરવામાં સફળતા મેળવી હતી. હાર્દિક પંડ્યા જો પોતાનું આ ફોર્મ જાળવી રાખે તો મેકગ્રાની વાત સાચી સાબિત થઇ શકે છે અને તે સીરીઝનો સૌથી મોટો ખેલાડી બની શકે છે. જો કે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિરાટ કોહલી પર લોકોનું ધ્યાન કેન્દ્રિત રહેશે કે તે કેવુ પ્રદર્શન કરશે.