ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આ સમયે તેના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનમાં રાજકીય ડ્રામા મંગળવારે ચરમસીમાએ પહોંચ્યો જ્યારે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી. આ પછી તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.
પરંતુ પાકિસ્તાનના રાજકારણમાં આ પહેલીવાર નથી જ્યારે દેશના પૂર્વ વડાપ્રધાનની આ રીતે ધરપકડ કરવામાં આવી હોય. આ પહેલા પણ સમયાંતરે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનો પર આ વીતી ચુકી છે.
હુસૈન શહીદ સુહરાવર્દી
પાકિસ્તાનના કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાના નજીકના હુસૈન શહીદ દેશના પાંચમા વડાપ્રધાન હતા. તેઓ સપ્ટેમ્બર 1956 થી ઓક્ટોબર 1957 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન હતા. તેમણે જનરલ અયુબ ખાનની સરકારને ટેકો આપવાની ના પાડી. આ પછી ઇલેક્ટોરલ બોડીઝ ડિસક્વોલિફિકેશન ઓર્ડર (Ebdo) દ્વારા તેમના પર રાજનીતિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં જુલાઈ 1960માં કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને કોઈપણ સુનાવણી વિના કરાચીની સેન્ટ્રલ જેલમાં કેદ કરવામાં આવ્યા હતા.
ઝુલ્ફીકાર અલી ભુટ્ટો
ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ ઓગસ્ટ 1973 થી જુલાઈ 1977 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. 1974માં રાજકીય હરીફની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં સપ્ટેમ્બર 1977માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં લાહોર હાઈકોર્ટના જસ્ટિસ ખ્વાજા મોહમ્મદ અહમદ સમદાનીએ તેમને એમ કહીને મુક્ત કર્યા કે તેમની ધરપકડનો કોઈ આધાર નથી. પરંતુ માર્શલ લો રેગ્યુલેશન 12 હેઠળ ત્રણ દિવસ પછી તેમની ફરી ધરપકડ કરવામાં આવી હતી. તેમને 4 એપ્રિલ 1979ના રોજ ફાંસી આપવામાં આવી હતી.
બેનઝીર ભુટ્ટો
બેનઝીર ભુટ્ટો બે વખત પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. તે ડિસેમ્બર 1998 થી ઓગસ્ટ 1990 અને ફરીથી ઓક્ટોબર 1993 થી નવેમ્બર 1996 સુધી પ્રથમ વખત દેશની વઝીર-એ-આઝમ હતા. તેઓ તેમના ભાઈના અંતિમ સંસ્કારમાં સામેલ થવા ઓગસ્ટ 1985માં પાકિસ્તાન આવ્યા હતા. પરંતુ તેમને 90 દિવસ સુધી નજરકેદ રાખવામાં આવ્યા હતા. આગલા વર્ષે 1986માં સ્વતંત્રતા દિવસના અવસર પર કરાચીમાં એક રેલીમાં સરકારની ટીકા કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનને 1999માં ભ્રષ્ટાચારના આરોપમાં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ પછી તેઓ સાત વર્ષ સુધી વનવાસમાં રહ્યા. પરંતુ 2007માં દેશમાં પરત ફર્યા બાદ આત્મઘાતી હુમલામાં તેમની હત્યા કરવામાં આવી હતી.
યુસુફ રઝા ગિલાની
યુસુફ રઝા ગિલાની 2008માં ગઠબંધન સરકારના વડાપ્રધાન હતા. ભ્રષ્ટાચારના કેસમાં તેમની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તેમના પર નકલી કંપનીઓના નામે પૈસાની લેવડદેવડ કરવાનો આરોપ હતો. 2012માં તેમને પદ પરથી હટાવવા પડ્યા હતા.
નવાઝ શરીફ
કારગિલ યુદ્ધ બાદ નવાઝ શરીફને 1999માં સત્તા ગુમાવવી પડી હતી. તેઓ ત્રણ વખત પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા. પરવેઝ મુશર્રફ સરકાર દરમિયાન નવાઝ શરીફને દસ વર્ષ માટે દેશનિકાલ કરવાની ફરજ પડી હતી. પાકિસ્તાન પરત ફર્યા પછી, તેમની ધરપકડ કરવામાં આવી અને તેમના બાકીના દેશનિકાલ માટે સાઉદી અરેબિયા મોકલવામાં આવ્યા.
શાહિદ ખાકાન અબ્બાસી
શાહિદ ખાકાન અબ્બાસી જાન્યુઆરી 2017 થી મે 2018 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન હતા. જુલાઈ 2019માં NAB ટીમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર 2013ના એલએનજી ઈમ્પોર્ટ કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ હતો. આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તે સમયે અબ્બાસી પેટ્રોલિયમ મંત્રી હતા. તેમને ફેબ્રુઆરી 2020માં જામીન મળ્યા હતા.
ઈમરાન ખાન
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની 9 મે 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. NAB અને પાક રેન્જર્સ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ભ્રષ્ટાચારના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ બાદ તેમના સમર્થકોએ ઘણા શહેરોમાં પ્રદર્શન કર્યું. આ દરમિયાન હિંસાની ઘટનાઓ પણ સામે આવી હતી.
આ પણ વાંચો:પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ, પાક રેન્જર્સે કરી કાર્યવાહી
આ પણ વાંચો:ઇમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાન ભડકે બળ્યુંઃ આજે રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન
આ પણ વાંચો:પાકિસ્તાન સરકારે સોશિયલ મીડિયા પર લગાવ્યો પ્રતિબંધ,હાઇકોર્ટે કાર્યવાહીને યોગ્ય ઠેરવી
આ પણ વાંચો: ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ભારે હંગામો, સમર્થકોએ રેડિયો સ્ટેશનને લગાવી આગ
આ પણ વાંચો:સંસદમાં બોલવા ન દેવાતા આ દેશના સાંસદે કપડા ઉતાર્યા