ઇસ્લામાબાદ
પાકિસ્તાનમાં ઈમરાન ખાને સત્તા સંભાળ્યા બાદથી એ અટકળો વહેતી થઈ હતી કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા યોજાઈ શકે છે અને બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં ઉભો થયેલ તણાવ ઘટી શકે છે. ત્યારે હવે પાકિસ્તાન તરફથી આ માટેની પહેલ કરવામાં આવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શાંતિ વાર્તા શરૂ કરાવવા માટે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે.
ઈમરાન સરકારે પ્રસ્તાવ મુક્યો છે કે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આયોજન દરમિયાન ભારત-પાકના વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત થાય.જો કે, ભારત પહેલા પણ પોતાનુ વલણ સ્પષ્ટ કરી ચુક્યુ છે કે આતંક અને વાર્તા એકસાથે ન થઈ શકે. ત્યારે શાંતિ વાર્તાની સંભાવનાને લઈને બન્ને દેશોના અધિકારીઓ વચ્ચે ચર્ચા શરુ થઈ છે.
બન્ને દેશો વચ્ચે વાતચીતની શક્યતાની ચર્ચા ઈમરાનના વડાપ્રધાન મોદીને ૧૪ સપ્ટેમ્બરે લખેલ પત્રથી થઈ. ઈમરાને વડાપ્રધાન મોદીના શુભેચ્છા સંદેશના જવાબમાં આ પત્ર લખ્યો હતો. ઈમરાને આ પત્રમાં જ એ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે કે ચાલુ મહિનાના અંતમાં ન્યૂયોર્કમાં આયોજિત થનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશી વચ્ચે વાતચીત થાય. ઈમરાન ખાને એ પ્રસ્તાવ પણ મુક્યો છે કે, ભારત ઝડપથી પાકિસ્તાનમાં સાર્ક સંમેલન આયોજિત કરાવવા અંગે વિચાર કરે.