સુરતના મોટા વરાછામાં આવેલ આનંદધારા સોસાયટીમાં મોડી રાતે આગની ઘટના બની હતી. આપ કોર્પોરેટરના ગ્રાઉન્ડ પ્લસ બે માળના બંગલામાં રાત્રે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી…આગની ઘટનામાં કોર્પોરેટરનો ૧૭ વર્ષીય દીકરો રૂમ માં જ ફસાઈ જતા ગંભીર રીતે દાજી ગયો હતો. કિશોર ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા ટૂંકી સારવાર દરમ્યાન કિશોર નું મોત નીપજ્યું હતું. કિશોરનું મોત થતા પરિવારજનો ભાંગી પડ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા આનંદધારા સોસાયટીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુભાઈ કાછડીયા ગ્રાઉન્ડ પ્લસ બે માળના બંગલામાં સંયુક્ત પરિવાર સાથે રહે છે. પરિવારમાં બે દીકરાઓ છે. મોટો દીકરો અભ્યાસ કર્યા બાદ ધંધામાં છે જ્યારે નાનો દીકરો 17 વર્ષીય પ્રિન્સ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. પ્રિન્સ હાલ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે મોડી રાતે 2 વાગ્યાની આસપાસ પહેલા માળે અચાનક આગ લાગી ગઈ હતી. આગ બીજા માળ સુધી પ્રસરતા બીજા માળે સુતેલા પરિવારના સભ્યો ફસાઈ ગયા હતા. આગને પગલે પરિવારના સભ્યોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કોર્પોરેટર જીતુભાઈના બંગલામાં આગ લાગી ત્યારે મકાન માં 7 સભ્યો હજાર હતા જેમાંથી પરિવારના છ સભ્યોએ બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદીને જીવ બચાવ્યો હતો ત્યારે બેડરૂમમાં રહેલ 17 વર્ષીય પ્રિન્સ ઘુમાડામાં ફસાઈ ગયો હતો અને બહાર નીકળી શક્યો નહોતો. ત્યારે વિકરાળ આગમાં દાઝી જવાથી પ્રિન્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. દરમ્યાન બીજા માળેથી પ્રિન્સ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. જેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. પરિવારના નાના દીકરાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગવાની દુર્ઘટનામાં પ્રાથમિક માહિતી સામે આવી છે તે મુજબ શોર્ટ સર્કિટના કારણે કોર્પોરેટર જીતુભાઈના ઘરે આગ લાગવાની દુર્ઘટના બની. જો કે આ મામલે હજુ વધુ તપાસ થશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ